Ahmedabad Fire News: અમદાવાદના વિશાલા સર્કલથી નારોલ તરફ જવાના મુખ્ય માર્ગ પર આવેલા મેટ્રોની નજીકની ઝૂંપડપટ્ટીમાં આજે (10મી જૂન) બપોરના સમયે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે જોતજોતામાં અનેક ઝૂંપડાંઓ તેની ઝપેટમાં આવી ગયા હતા. આ ઘટનાની જાણ સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી. બનાવની ગંભીરતા અને આગની ભીષણતાને જોતા ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક ફાયર ફાઈટરની ગાડીઓ અને પાણીના ટેન્કરો ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, આ વિસ્તારમાં ગરીબ અને શ્રમિક પરિવારોના અનેક ઝૂંપડાંઓમાં આગ લાગી હતી. સુકા વાંસ, પ્લાસ્ટિક અને ઘરવખરીના સામાનના કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે, જેના લીધે અંદર રાખેલો ગરીબોનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હોવાની આશંકા છે.
ફાયર વિભાગની ટીમોએ આગ ફેલાય નહીં તે માટે તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં પણ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા. આગ લાગવાના કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


