Get The App

અમદાવાદ: આનંદનગરમાં ક્રિકેટ રમતા બાળકોના ઝઘડામાં વાલીઓ બાખડ્યા, બહારથી માણસો બોલાવી મહિલા પર હુમલો કર્યાના આક્ષેપ

Updated: Mar 30th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ: આનંદનગરમાં ક્રિકેટ રમતા બાળકોના ઝઘડામાં વાલીઓ બાખડ્યા, બહારથી માણસો બોલાવી મહિલા પર હુમલો કર્યાના આક્ષેપ 1 - image


Ahmedabad News: અમદાવાદના આનંદનગર વિસ્તારમાં રવિવારે (29 માર્ચ) રાત્રે બાળકોની રમત જેવી નજીવી બાબતે વાલીઓ વચ્ચે મરામારી થઈ હતી. સ્કારલેટ સોસાયટીમાં ક્રિકેટ રમતા બાળકોના ઝઘડામાં મોટાઓ કૂદી પડતા મામલો બિચક્યો હતો. આ ઘટનામાં એક પક્ષે બહારથી હથિયારધારી માણસો બોલાવી સોસાયટીમાં મારામારી અને મહિલાની છેડતી કરી હોવાના ગંભીર આક્ષેપો થયા છે.

બાળકોના ઝઘડામાં વાલીઓ બાખડ્યા

મળતી માહિતી અનુસાર, આંનંદનગર વિસ્તારમાં સ્કારલેટ સોસાયટીમાં રાત્રે બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. સોસાયટીના રહીશ કુણાલ શાહ બાળકોને છોડાવવા ગયા હતા, તે દરમિયાન અન્ય એક વ્યક્તિ કૃણાલસિંહ ચુડાસમા ત્યાં આવી પહોંચ્યા હતા. બાળકોની વાતને લઈને બંને વાલીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી, જે જોતજોતામાં હિંસક મારામારીમાં ફેરવાઈ ગઈ હતી.

બહારથી માણસો બોલાવી હુમલો કર્યાનો આક્ષેપ

ભોગ બનનાર કુણાલ શાહના જણાવ્યાનુસાર, સામેના પક્ષે બહારથી લુખ્ખા તત્વોને બોલાવ્યા હતા. આ શખસો દારૂ પીધેલી હાલતમાં અને હથિયારો સાથે સોસાયટીમાં ધસી આવ્યા હતા. આક્ષેપ છે કે તેમણે સોસાયટીમાં તોડફોડ કરી હતી અને કુણાલભાઈની પત્નીના પેટના ભાગે પણ માર માર્યો હતો. વધુમાં, હુમલાખોરોએ સોસાયટીની એક યુવતી સાથે અડપલાં કરી છેડતી કરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

ઘટનાની જાણ થતા જ આનંદનગર પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે સોસાયટીના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે. આનંદનગર પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. જોકે, બંને પક્ષોએ પરસ્પર સમજૂતી સાધીને સમાધાન કરી લીધું હોવાનું પણ સામે આવ્યું છે.