Gujarat

સાવધાન! કેમિકલ પી જતાં બાળકે અન્નનળી ગુમાવી: અમદાવાદ સિવિલમાં જટિલ સર્જરીથી મળ્યું નવું જીવન

By GS TEAM
13 Jun 20263 mins read
TukuTouch Logo
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં રમત-રમતમાં ત્રણ વર્ષના બાળકે સાબુ બનાવવા માટે વપરાતુ કેમિકલ પી જતાં અન્નનળી લગભગ નકામી બની ગઈ હતી. જો કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના નિષ્ણાત ડૉક્ટરો દ્વારા જટિલ સર્જરી કરતા બાળકને નવું જીવન મળ્યું છે અને હવે તે ફરીથી મોઢેથી ખાઈ-પી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાવધાન! કેમિકલ પી જતાં બાળકે અન્નનળી ગુમાવી: અમદાવાદ સિવિલમાં જટિલ સર્જરીથી મળ્યું નવું જીવન

Ahmedabad News: માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં રમત-રમતમાં ત્રણ વર્ષના બાળકે સાબુ બનાવવા માટે વપરાતુ કેમિકલ પી જતાં અન્નનળી લગભગ નકામી બની ગઈ હતી. જો કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના નિષ્ણાત ડૉક્ટરો દ્વારા જટિલ સર્જરી કરતા બાળકને નવું જીવન મળ્યું છે અને હવે તે ફરીથી મોઢેથી ખાઈ-પી શકે છે.

ત્રણ વર્ષના બાળકે કેમિકલ પી જતાં અન્નનળીને ગંભીર અસર

જોધપુરના રહેવાસી અને હોસ્પિટલમાં કામ કરતા સરાફત અલીના પુત્ર અયાને 14 ફેબ્રુઆરી, 2025ના રોજ તેના દાદાના ઘરે રમતી વખતે આકસ્મિક રીતે સાબુ બનાવવા માટે વપરાતું કેમિકલ પી લીધું હતું. ત્યારબાદ તેને ગળામાંથી ખોરાક ઉતારવામાં ભારે તકલીફ થવા લાગી હતી. જેમાં તે કોઈપણ પ્રવાહી કે ઘન ખોરાક ગળી શકતો ન હોવાથી પરિવાર તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ તમામ પ્રાથમિક સારવાર છતાં તેની સ્થિતિમાં સુધારો થયો ન હતો. વધુ તપાસમાં જાણવા મળ્યું કે, કેમિકલના કારણે અન્નનળી ગંભીર રીતે દાઝી જવાથી તે અત્યંત સાંકડી થઈ ગઈ હતી. જેમાં અન્નનળીને પહોળી કરવાના પ્રયાસો પણ નિષ્ફળ રહ્યા. આખરે અયાનને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તપાસ બાદ તરત જ બાળકનું ફીડિંગ ગેસ્ટ્રોસ્ટોમી કરવામાં આવ્યું, જેથી પેટમાં સીધો ખોરાક આપી તેનું પોષણ જાળવી શકાય. ત્યારબાદ મહિનાઓ સુધી સતત ફોલોઅપ, પોષણની તૈયારી અને તબક્કાવાર મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ સિવિલમાં જટિલ સર્જરીથી મળ્યું નવું જીવન

આ કેસ અંગે વિગતો આપતા સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ અને પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, આ પ્રકારની સર્જરી ઉતાવળમાં કરી શકાતી નથી. બાળકનું યોગ્ય પોષણ, વજનમાં વધારો, જઠરની ક્ષમતાનું મૂલ્યાંકન અને વિવિધ નિષ્ણાતોની સંકલિત તૈયારી અત્યંત જરૂરી હોય છે. 17 નવેમ્બર, 2025ના રોજ અયાનની વધુ સર્જિકલ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી. જેમાં એની ગંભીર રીતે ખરાબ થયેલી અન્નનળી કાઢી નાખવામાં આવી અને ગળાના ભાગમાં કાણું કરવામાં આવ્યું હતું. આખરે 20 મે, 2026ના રોજ પીડિયાટ્રિક સર્જરી વિભાગની ટીમે, તેમજ એનેસ્થેસિયા વિભાગના પ્રોફેસર ડૉ. સીમા ગાંધી અને તેમની ટીમે અતિ જટીલ એવી ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી સફળતાપૂર્વક પાર પાડી હતી.

શું છે ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી?

આ સર્જરીમાં જઠરને ઉપર ખેંચીને છાતીના ભાગમાં લાવવામાં આવે છે અને તેને નવી અન્નનળી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે અન્નનળી ગંભીર રીતે નુકસાન પામે અથવા નકામી બની જાય ત્યારે આ સર્જરી જીવનદાયી સાબિત થાય છે.

સર્જરી પહેલાંની મહત્ત્વપૂર્ણ તૈયારીઓ

બાળકને ગેસ્ટ્રોસ્ટોમી દ્વારા પૂરતું પોષણ આપીને તેનું વજન અને તાકાત વધારવામાં આવે છે. આ દરમિયાન પીડિયાટ્રિક સર્જન, એનેસ્થેસિયા નિષ્ણાત, ડાયેટિશિયન અને આઈસીયુ ટીમ સતત નિરીક્ષણ કરે છે. સર્જરી બાદ અયાને કોઈપણ મુશ્કેલી વગર ફરીથી મોઢા દ્વારા ખાવાનું શરૂ કર્યું હતું. હાલ તેની સ્થિતિ સંપૂર્ણપણે સંતોષકારક હોવાથી તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 

માતા-પિતા સાવધાન 

આ ઘટના દરેક માતા-પિતા માટે આંખ ઉઘાડનારી છે. ઘરમાં વપરાતા એસિડ, ક્ષાર, સાબુ બનાવવા માટેના કેમિકલ, ફિનાઈલ, ટોયલેટ ક્લીનર અને અન્ય ઝેરી પદાર્થો બાળકોની પહોંચથી દૂર, બંધ કબાટમાં રાખવા અત્યંત જરૂરી છે.

ડો. જોષીએ જણાવ્યુ હતુ કે, નાનાં બાળકો રમતમાં કોઈપણ વસ્તુ મોઢામાં મૂકી દેવાની કુદરતી વૃત્તિ ધરાવે છે. માત્ર એક ક્ષણની બેદરકારી જીવનભરની પીડાનું કારણ બની શકે છે. જો બાળક દ્વારા આકસ્મિક રીતે કોઈ કેમિકલ પી જવામાં આવે તો ઘરગથ્થુ ઉપચાર કરવાનો પ્રયાસ કર્યા વગર તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવું જોઈએ.