Ahmedabad Bhadrakali Nagar Yatra Route: અમદાવાદના 615મા સ્થાપના દિવસે શહેરની આરાધ્ય દેવી ભદ્રકાળી માતાજીની નગરયાત્રા આગામી 26મી ફેબ્રુઆરીએ અત્યંત ધામધૂમથી નીકળશે. મંદિરના ટ્રસ્ટી દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર, આ યાત્રામાં આ વર્ષે રાયપુર અને ખાડિયા જેવા ઐતિહાસિક વિસ્તારોને પણ રૂટમાં સામેલ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, આગામી વર્ષથી આ પરંપરામાં ફેરફાર કરી નગરયાત્રા મહાશિવરાત્રીના દિવસે યોજવાનું આયોજન કરવામાં આવશે.
ભદ્રકાળી માતાની ભવ્ય નગરયાત્રાનો રૂટ
આ ભવ્ય યાત્રાનો પ્રારંભ સવારે 7 વાગ્યે વેદિક મંત્રોચ્ચાર સાથે થશે. માતાજીના ગર્ભગૃહમાંથી ચલિત મૂર્તિને ભવ્ય રથમાં બિરાજમાન કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ઉપસ્થિતિ રહેવાની શક્યતા છે, જેમના હસ્તે રથનું પ્રસ્થાન કરાવવામાં આવી શકે છે. શહેરના પ્રથમ નાગરિકો અને અધિકારીઓ દ્વારા માતાજીના આશીર્વાદ લઈને નગરચર્યાની શરૂઆત કરાશે.
નગરયાત્રાનો રૂટ આ વખતે વધુ 2 કિ.મી. લાંબો બનાવવામાં આવ્યો છે. રથ ત્રણ દરવાજા પાસે અખંડ દીવાના દર્શન માટે બે મિનિટ થોભશે અને માણેકનાથ બાબાના મંદિરે માતાજીની આરતી કરવામાં આવશે. ત્યારબાદ રતનપોળ, ખાડિયા ચાર રસ્તા અને રાયપુર ચકલા સ્થિત ચક્રેશ્વર મહાદેવ મંદિરે દર્શન-આરતીનો લહાવો ભક્તોને મળશે. આ યાત્રા નગરદેવતા એવા જગન્નાથજીના દ્વારે પણ પહોંચશે, જ્યાં આરતી બાદ ચા પાણી અને નાસ્તાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ સાબરમતી રિવરફ્રન્ટ પર મહાલક્ષ્મી મંદિરે સાબરમતી નદીની આરતી સાથે વિરામ લેવામાં આવશે. એ પછી યાત્રાના રૂટ પર વસંત ચોક ગણેશ મંદિર અને બહુચરાજી મંદિર થઈને રથ પુનઃનિજ મંદિરે પરત ફરશે.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશઃ હવે વધારાના દસેક લાખ લો અને કેસ પતાવો... એર ઈન્ડિયાની પીડિતોને ઓફર
આ યાત્રા દરમિયાન ભક્તો માટે વિશેષ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં 500 કિલો બુંદીનું વિતરણ કરવામાં આવશે. યાત્રાના સમાપન સમયે મંદિરે નાનકડો હવન યોજાશે અને ત્યારબાદ અંદાજે 5,000થી 7,000 શ્રદ્ધાળુઓ માટે ભવ્ય ભંડારાનું આયોજન કરાયું છે, જેમાં લાડુ અને ફૂલવડીનો પ્રસાદ પીરસીને ઉત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવશે.


