Ahmedabad Crime: અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં શનિવાર (21મી ફેબ્રુઆરી)ની રાત્રે નજીવી બાબતે કે અન્ય કોઈ અદાવતમાં એક 19 વર્ષીય યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ કેસનો કોયડો ગણતરીના કલાકમાં જ ઉકેલી નાખ્યો હતો. ઠંડા કલેજે હત્યા કરનારા અને કાવતરું ઘડનારા બે શખસની પોલીસે ધરપકડ કરી લીધી છે.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, આ લોહિયાળ ઘટના શનિવારે રાત્રે અંદાજે 10:00 વાગ્યાના અરસામાં બની હતી. બહેરામપુરા વિસ્તારમાં રહેતા 19 વર્ષીય હિમેશ પરમાર પર અજાણ્યા શખસોએ છરી વડે આડેધડ હુમલો કર્યો હતો. હુમલાખોરો હિમેશને લોહીલુહાણ હાલતમાં મૂકી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ કાગડાપીઠ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થિતિનો તાગ મેળવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મૃતક હિમેશ પરમારના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, 19 વર્ષીય ગૌતમ ઉર્ફે ઇન્ડો સોલંકી અને 17 વર્ષીય રાજુ ભાઈ (નામ બદલ્યું છે) નામના બે શખસે કાવતરું રચી 19 વર્ષીય હિમેશ પરમારની હત્યા કરી હતી. ઝઘડાની શરૂઆત ત્યારે થઈ જ્યારે હિમેશ પરમારે આરોપીઓને તેના ઘરના ઓટલા પર બેસવા અથવા મોટેથી વાતો ન કરવા વારંવાર ચેતવણી આપી હતી. આ વાતનો ખાર રાખીને આરોપીઓએ તેની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. મુખ્ય આરોપીએ હત્યા કરવાના ઈરાદે ખાસ ચોટીલામાં જઈને છરો ખરીદ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં જ સગીર અને તેના સાથીદારને પકડી લીધા હતા, જેથી તેઓ કાયદાથી ભાગી ન શકે. અત્યારે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
વિસ્તારમાં ભયનો માહોલ
રાત્રિના સમયે જાહેર રોડ પર થયેલી આ હત્યાને પગલે સ્થાનિક રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. 19 વર્ષની વયે યુવાનના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


