Gujarat

જળ સંકટથી બચવા જળ સંચયનો નવતર અભિગમ અપનાવ્યો

By GS Team
2 Jan 20222 mins read
This article was originally published on 2 Jan 2022
જળ સંકટથી બચવા જળ સંચયનો નવતર અભિગમ અપનાવ્યો

પાલનપુર,તા.01

બનાસકાંઠા જિલ્લામાં ઉનાળો આવે ત્યારે પાણીની તંગી જોવા મળે છે ત્યારે લોકોએ પાણી માટે રઝળપાટ કરવો પડતો હોય છે. ત્યારે બનાસકાંઠાના અંતરિયાળ વાવ અને સુઇગામ તાલુકાના ૧૫ ગામોમાં વરસાદી પાણીનો સંગ્રહ કરી તેને પીવા માટે વાપરવામાં આવે છે. જેમાં લોકો દ્વારા પતરા અને ધાબા પરથી પાઈપલાઈન ગોઠવી ટાંકામાં નાખવામાં આવે છે અને તે પાણી આખું વર્ષ પીવા માટે ઉપયોગમાં લેવાય છે.

સરહદી વાવ સુઈગામ તાલુકાનાં ગામડાઓમાં વર્ષોથી પીવા માટે નર્મદાનું પાણી મળે છે ત્યારે બીજી તરફ ગામડાઓમાં અંન્ડર ગ્રાઉન્ડ ટાંકાઓમાં પાણીને સંગ્રહ કરી ૧૨ માસ સુધી પીવાનાં ઉપયોગમાં લેવામાં આવે છે.અને નવી સિઝનમાં વરસાદ ચાલું થાય એટલે તરત જ ધાબા પરથી પાઈપ લાઈનો ફિટિંગ કરી ટાંકામાં જોડવામાં આવે છે. જીવડાં કે અન્ય કીટાણુઓ પાણીમાં ના પડે તે માટે ટાંકામાં સૂર્યપ્રકાશ ન પડે તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે.સ્થાનિકોએ જણાવ્યું હતું કે સરહદી વાવ તાલુકામાં સ્વાધ્યાયનાં વિચારો અને શ્રીમદ્ ભાગવતનાં વિચારોથી આજે ગામડાઓમાં વૈદિકકાળની સંસ્કૃતિ ઊભી કરી લાખ્ખો ઘરોમાં વૈદિક વિચારોથી અજવાળાં થયાં છે. ત્યારે પ.પૂ.પાંડુરંગ શાીજી આઠવલેજી આશીર્વાદ અને પૂ.દીદીનાં માર્ગદર્શન હેઠળ વાવ અને સુઈગામ તાલુકામાં સ્વાધ્યાય પરિવારની આ અનોખી પહેલ ખુબ જ ઉપયોગી સાબિત થશે. ઉલ્લેખનીય છે કે વરસાદીનો કાયમી ધોરણે સંગ્રહ કરી પાણીનો પીવામાં ઉપયોગ કરવાથી ક્યારેય પણ તાવ કે શરદી જેવી અનેક નાની મોટી બીમારીઓ થતી નથી અને સાચા અર્થમાં વરસાદી જળ અમૃત સમાન સાબિત થયું છે.

વાવ-સુઇગામના ૧૫ ગામોમાં વરસાદી પાણીનો સંગ્રહ

ઢીમા, વાવ, માલસણ, કુંભારડી, સણવાલ, પ્રતાપપુરા, પાનેસડા, ગોલપનેસડા, ટડાવ, ભાટવર, કોરેટી, ઉંચપા, ગંભીરપુરા, ઢેરિયાણાં, દેથળી સહિતના ગામડાઓમાં વરસાદી પાણીનો સંગ્રહ કરી પીવામાં ઉપયોગ થાય છે.

વરસાદી પાણી પીવાથી  બીમારીઓનો નાશ થાય છે

આ પાણીની શુદ્ધતાની સાથે આરોગ્ય લક્ષી ગુણવત્તા યુક્ત હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. આ પાણી પીવાથી સાંધાના દુખાવા તેમજ તાવ અને નાની મોટી બીમારીઓથી બચી શકાય છે. જેથી સરહદી વિસ્તારમાં ૧૫થી પણ વધુ ગામના લોકો આ વરસાદી પાણી પીવે છે અને જેથી પાણીજન્ય રોગોથી દૂર રહે છે.

સમગ્ર દેશને જળ સંચયનો સંદેશ આપ્યો

ગ્લોબલ વોમગનાં કારણે જળ સંકટ ઉભું થવા પામ્યું છે અને માત્ર રાજ્ય અને દેશ જ નહિ પરંતુ સમગ્ર દુનિયા આ વિકટ જળ સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે આ સમસ્યાને નિવારવા સૌ કોઈએ જાગૃત બની વાવ સુઈગામ વિસ્તારનાં લોકોની જેમ પાણીનો સંગ્રહ કરવા નો સંકલ્પ કરે તો જ ખરા અર્થમાં જળક્રાંતિ કરી શકાય.