Get The App

પાદરા કોલેજમાં બીએસસી હાયર પેમેન્ટના બે જ અભ્યાસક્રમમાં પ્રવેશ અપાશે

Updated: Apr 22nd, 2026

GS TEAM

Google News
Google News
પાદરા કોલેજમાં બીએસસી હાયર પેમેન્ટના બે જ અભ્યાસક્રમમાં પ્રવેશ અપાશે 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં એફવાયબીએસસીમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં થઈ રહેલા ઘટાડાના કારણે ફેકલ્ટી સત્તાધીશોએ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે.મળતી વિગતો પ્રમાણે નવા શૈક્ષણિક વર્ષથી  બીએસસી હાયર પેમેન્ટમાં માત્ર માઈક્રોબાયોલોજી અને કેમેસ્ટ્રીમાં જ પ્રવેશ આપવામાં આવશે.આ સિવાયના બીજા હાયર પેમેન્ટ કોર્સ બંધ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે,  સાયન્સ ફેકલ્ટીમાં ગ્રાન્ટ ઈન એઈડ હેઠળના વિવિધ બીએસસી કોર્સની ૧૨૦૦ જેટલી બેઠકો છે.બીએસસીમાં પ્રવેશ માટે વધેલા ધસારાના કારણે સત્તાધીશોએ ૨૦૧૫થી વધારાની હાયર પેમેન્ટ બેઠકો પર પ્રવેશ આપવાનું શરુ કર્યું હતું.

પાંચ વર્ષમાં પાદરા કોલેજ ખાતે આ માટે લેબોરેટરીની સુવિધા સાથે અલાયદું બિલ્ડિંગ પણ ઉભું કરવામાં આવ્યું હતું.જોકે છેલ્લા પાંચેક વર્ષથી બીએસસીમાં પ્રવેશ લેનારાની જ સંખ્યા ઘટી હોવાથી તેની અસર હાયર પેમેન્ટ બેઠકો પર પડી છે.ગત વર્ષે પણ  પાદરા કોલેજેમાં માઈક્રોબાયોલોજી અને કેમેસ્ટ્રીને બાદ કરતા બાકીના કોર્સની મોટાભાગની બેઠકો ખાલી રહી હતી.જેના કારણે નવા શૈક્ષણિક વર્ષથી સત્તાધીશો  બીએસસી હાયર પેમેન્ટના ફિઝિક્સ, ઝૂલોજી, મેથ્સ, બોટનીની બેઠકો પર પ્રવેશ નહીં આપે.તેની સાથે સાથે કેમેસ્ટ્રી અને માઈક્રોબાયોલોજીની હાયર પેમેન્ટ બેઠકો પર પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને પણ તબક્કાવાર એમ.એસ.યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના મુખ્ય કેમ્પસમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

બિલ્ડિંગનો ઉપયોગ કોમર્સ ફેકલ્ટી કરશે 

મોટાભાગના હાયર પેમેન્ટ કોર્સ બંધ કરવામાં આવશે તો કરોડોના ખર્ચે બનેલા બિલ્ડિંગનો ઉપયોગ કેવી રીતે કરવો તેની મૂંઝવણ ઉભી થશે.એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, આ બિલ્ડિંગનો ઉપયોગ કોમર્સ ફેકલ્ટી દ્વારા કરાશે.કોમર્સ ફેકલ્ટીને એમ પણ જગ્યાની જરુર છે.

ગ્રાન્ટ ઈન એઈડ બેઠકો પણ ખાલી રહે છે

સાયન્સ ફેકલ્ટીમાં એફવાયબીએસસીમાં વિવિધ વિષયોની ૧૧૦૦ જેટલી ગ્રાન્ટ ઈન એઈડ બેઠકો છે પણ જીકાસ પોર્ટલ થકી છેલ્લા બે વર્ષથી પ્રવેશ શરુ થયા બાદ તો આ બેઠકો પણ પૂરી ભરાતી નથી.ખાસ કરીને જિઓલોજી, જિઓગ્રાફી વિષયની તો બેઠકો ભરાતી નથી.

હાયર પેમેન્ટમાં માંડ ૨૦૦ વિદ્યાર્થીઓ રહ્યા

પાદરા કોલેજ ખાતે હાયર પેમેન્ટ બેઠકો પર  પ્રવેશ લેનારા  વિદ્યાર્થીઓની સંખ્યામાં થઈ રહેલા ઘટાડાના કારણે હવે માંડ ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ રહ્યા છે.ગત વર્ષે તો કેમેસ્ટ્રી અને માઈક્રોબાયોલોજી સિવાયના અન્ય વિષયોમાં આંગળીના વેઢે ગણાય તેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો.