Get The App

રાજયમાં સર્વપ્રથમ વખત ભાવેણામાં વડીલોના નિજાનંદ માટે બગીચાની મહેફીલ શરૃ કરાઈ

Updated: May 30th, 2026

GS TEAM

Google News
Google News
રાજયમાં સર્વપ્રથમ વખત ભાવેણામાં વડીલોના નિજાનંદ માટે બગીચાની મહેફીલ શરૃ કરાઈ 1 - image

શહેરના ઘોઘાસર્કલના બગીચામાં આજે યોજાશે અનોખી ગીત સંગીતની મહેફીલ

ચાર વર્ષથી યોજાતી બગીચાની મહેફીલમાં ૨૦૦૦ વડીલો સહિત ૪૦૦૦થી વધુ લોકો સંગીતમાં રસતરબોળ થયા

ભાવનગરવડીલોની એકલતા દૂર કરવાના ઉમદા આશયથી બે યુવાનો દ્વારા ગુજરાતમાં સર્વપ્રથમ ભાવનગરમાં આજથી ત્રણ વર્ષ પૂર્વે શરૃ કરાયેલ બગીચાની મહેફીલ નામક વડીલો માટેના ગીત સંગીતના અનોખો કાર્યક્રમ કલા અને સાંસ્કૃતિક નગરી ભાવેણાની આગવી ઓળખ સમાન બની ગયો છે. આવતીકાલ તા. ૩૦ મે ને શનિવારે સાંજે ૫-૩૦ થી રાત્રીના ૧૦ સુધી ઘોઘાસર્કલના બગીચામાં સંગીતની મહેફીલનું ભવ્ય આયોજન કરાયેલ છે.

સંગીતની મહેફીલના માધ્યમથી નવી અને જુની પેઢી વચ્ચે એક અદ્રભુત સેતુ રચવાના આશયથી ભાવનગરના જયભાઈ રાજયગુરુ અને અજયભાઈ નામક યુવાનોના નિસ્વાર્થ ટીમવર્ક દ્વારા ગત તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ અદ્યતન સાઉન્ડ સિસ્ટમના સંગાથે બગીચાની મહેફિલ નામક નવતર કાર્યક્રમની શરૃઆત કરાઈ હતી. ખાસ કરીને ૩૧ ડિસેમ્બર સહિત વર્ષમાં ત્રણ વખત શહેરના બગીચામાં આ મહેફીલ યોજાય છે. જેમાં અગાઉ પાંચ પ્રોગ્રામ શહેરના રૃપાણી સર્કલમાં યોજાયા હતા.  જે દરેક કાર્યક્રમમાં ૨૦૦૦ થી વધુ વડીલો અને ૩૫૦૦ થી ૪૦૦૦ જેટલા સંગીતરસિકો ઉત્સાહભેર ભાગ લીધો હતો. એકમાત્ર આ કાર્યક્રમમાં પાંચ વર્ષના બાળકથી લઈને ૭૫ થી વધુ વયના વડીલોની એક સાથે ત્રણ પેઢી હાજર રહેતી હોય છે જે તેની વિશિષ્ઠતા ગણી શકાય. આ મહેફીલમાં શહેરના નામાંકિત પાંચ બહેનો અને છ ભાઈઓના પ્રોફેશ્નલ કલાકારોની ટીમ મહત્વની ભૂમિકા ભજવે છે. વી આર કરાઓ કે ઓર્ગેનાઈઝેશનના બેનર તળે સંપૂર્ણપણે પારિવારિક માહોલમાં આયોજિત ભાવનગરના આ અનોખા અને રેકોર્ડબ્રેક સમાન કાર્યક્રમમાંથી પ્રેરણા લઈ અન્ય શહેરોમાં આવા કાર્યક્રમ યોજાતા થયા છે.

બોકસ

વડીલોના જન્મદિવસ નિમીત્તે કેક કટીંગ કરાય છે

વડીલોની એકલતા દૂર કરવાના અકસીર ઓસડ સમાન બનેલા આ કાર્યક્રમની ખાસ વિશિષ્ઠતા એ છે કે, આ કાર્યક્રમમાં જે કોઈ વડીલના જન્મ દિવસ આવતા હોય અથવા તો તે માસમાં જન્મ દિવસ આવતા હોય તેઓના સામુહિક જન્મદિવસની કેક કટીંગ સાથે બર્થડે ગીતના ગાન સાથે ઉજવણી કરવામાં આવે છે.

વડીલો માટેનો નિઃશુલ્ક ઉત્તમ કાર્યક્રમ

શહેરમાં અત્યાર સુધી યોજાયેલા બગીચાની મહેફિલના કાર્યક્રમ ફકત વડીલો માટે જ નહિ બલકે બાળકોથી લઈને યુવાનોને પણ ઉત્તમ મનોરંજન પુરુ પાડી રહ્યા છે. વડીલો માટે સન્માનભેર યોજાતા આ કાર્યક્રમ ખરેખર સૌ કોઈ માટે યાદગાર અને અવિસ્મરણીય બન્યો છે. શૈલેષભાઈ શુકલ, નિવૃત જી.એમ.બી.