ગીરગઢડાના થોરડીની સીમમાં દીપડાની રંજાડ
કિસાનો ખેતરમાં કામ કરતા હતા ત્યારે ન્હોર તથા દાંત ભરાવી દીધા, પાંજરા નજીક આવીને નાઠો, રેસ્ક્યુ ટીમના સભ્ય પર પણ હુમલો
આજે સવારે નવેક વાગ્યા આસપાસ થોરડી ગામની સીમમાં માલાભાઈ લાખાભાઈ મોઢકીયા (ઉ.વ.૪૮) અને તેનો ભત્રીજો દિવ્યેશ જેન્તી મોઢકીયા કેળાના ખેતરમાં કામ કરતા હતા ત્યારે ત્યાં છુપાયેલા દીપડાએ પ્રથમ માલાભાઈ પર હુમલો કર્યો હતો. દિવ્યેશ બચાવવા પડતા દીપડાએ તેને પણ ન્હોર ભરાવી ખંભામાં ઈજા કરી હતી. કાકા-ભત્રીજાએ બુમાબુમ કરતા આસપાસના લોકો એકત્ર થઈ જતા દીપડો બંનેને છોડી નાસી ગયો હતો. ઈજાગ્રસ્ત કાકા-ભત્રીજાને ગીરગઢડા સારવારમાં ખસેડાયા હતા.
આ બંનેની હજુ સારવાર ચાલી રહી હતી ત્યાં બાજુની વાડીમાં કામ કરતા કેશુભાઈ નારણભાઈ મોઢકીયા પર આ જ દીપડાએ હુમલો કરી ગળાના ભાગે બચકુ ભરી લઈ લોહીલોહાણ કરી નાખ્યા હતા. તેને પણ ગીરગઢડા સારવારમાં ખસેડાયા હતા. આ અંગે વન વિભાગને જાણ થતા દીપડાને પકડવા આસપાસના વિસ્તારોમાં પાંજરા ગોઠવ્યા છે. જેમાં એક દીપડો પાસે આવી નાસી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.
વન વિભાગની ટીમ વાડી વિસ્તારમાં દીપડાને સર્ચ કરી રહી હતી ત્યારે દીપડાએ ગુસ્સે થઈ વન વિભાગના રોજમદાર કર્મચારી મનુભાઈ ખસીયા ઉપર હુમલો કરી તેના હાથની આંગળીમાં ઈજા પહોંચાડી હતી. મનુભાઈને પણ ગીરગઢડા સારવારમાં ખસેડાયા હતા. માનવ લોહી ચાખી ગયેલા દીપડાને પકડવા વન વિભાગ અવનવા કિમીયા કરી રહ્યું છે પરંતુ દીપડો પાંજરે પુરાયો ન હતો.
- ઊના- ગીરગઢડા પંથકમાં દીપડાની સંખ્યા અને હુમલા વધતાં ફફડાટ
છેલ્લા થોડી સમયથી ઉના તથા ગીરગઢડા પંથકમાં સિંહ-દીપડાઓની રંજાડ વધી છે. રોજબરોજ માણસો પર વન્યપ્રાણીઓ હુમલા કરી રહ્યા છે. ખેડૂતો રાત્રે તો ઠીક, દિવસે પણ ખેતરમાં કામ કરતા ડર અનુભવી રહ્યા છે. ઉના તથા ગીરગઢડાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાઓની સંખ્યા ખૂબ વધી ગઈ છે. અવાર-નવાર દીપડાઓ માણસો પર હુમલા કરી રહ્યા છે ત્યારે વન વિભાગ દ્વારા આવા દીપડાઓને પકડવા માટે નક્કર કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ઉઠી છે.


