Gujarat

જામનગર નજીક ધુવાવના પુલ પરથી એક કાર અકસ્માતે નીચે ખાબકી: એક દંપતી અને પુત્ર સહિત ત્રણ ઘાયલ

By GS Team
24 Mar 20221 min read
This article was originally published on 24 Mar 2022
જામનગર નજીક ધુવાવના પુલ પરથી એક કાર અકસ્માતે નીચે ખાબકી: એક દંપતી અને પુત્ર સહિત ત્રણ ઘાયલ

જામનગર,તા.24 માર્ચ 2022,ગુરૂવાર 

જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર ધુંવાવ પાસે આવેલા બેઠા પુલ પરથી એક કાર નીચે ખાબકી હતી. જે અકસ્માતમાં કારની અંદર બેઠેલી ત્રણ વ્યક્તિ ઘાયલ થઈ હોવાથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા નવીનભાઇ પાંચાભાઇ પરમાર અને તેમના પત્ની પ્રવિણાબેન નવીનભાઈ પરમાર નામના પ્રૌઢ દંપતિ અને તેમનો પુત્ર સંદિપ નવીનભાઈ પરમાર કે જેઓ રાજકોટથી પોતાનું કામ પતાવીને આજે સવારે જામનગર પરત ફરી રહયા હતા. જે દરમિયાન ધુવાવના પુલ પરથી તેઓની કાર અકસ્માતે નીચે ખાબકી હતી, અને અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં ત્રણેયને નાની-મોટી ઇજા થઇ હતી. આ અકસ્માતની જાણ થવાથી 108ની ટુકડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી, અને પ્રાથમિક સારવાર આપ્યા પછી જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્રણેયને સમયસર સારવાર મળી ગઈ હોવાથી ભય મુક્ત જાહેર કરાયા છે. સમગ્ર મામલે પંચકોશી એ. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે.