Jamnagar News: જામનગર-રાજકોટ હાઈવે પર જાંબુડા પાટીયા નજીક આવેલા રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં પરિવાર સાથે નાહવા પડેલા નવ વર્ષના એક માસૂમ બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. વેકેશનની મજા માણવા આવેલા પરિવાર પર અચાનક આભ તૂટી પડતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે.
વેકેશન માણવા ગાંધીનગરથી જામનગર આવ્યો હતો પરિવાર
મળતી માહિતી અનુસાર, મૂળ ગાંધીનગરનો રહેવાસી નવ વર્ષીય હર્ષ કિરીટ પરમાર હાલ જામનગરમાં રહેતા તેના કુટુંબીજનોને ત્યાં વેકેશનમાં ફરવા માટે આવ્યો હતો. આ દરમિયાન પરિવારના સભ્યો સાથે તે જામનગર-રાજકોટ હાઈવે પર જાંબુડા નજીક આવેલા હોલીડે રિસોર્ટમાં પિકનિક મનાવવા અને નાહવા માટે ગયો હતો. રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં નાહતી વખતે અકસ્માતે હર્ષ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને શ્વાસ રૂંધાવાના કારણે વધુ પડતું પાણી પી ગયો હતો. બાળક ડૂબતો હોવાનું નજરે પડતાં જ પરિવારજનો અને રિસોર્ટના સ્ટાફે તેને તાત્કાલિક બહાર કાઢ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં તે બેશુદ્ધ થઈ ગયો હતો.
બેશુદ્ધ હાલતમાં માસૂમ હર્ષને તાત્કાલિક સારવાર અર્થે જામનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. હર્ષના મોતના સમાચાર સાંભળતા જ હોસ્પિટલ પરિસરમાં જ પરિવારજનોના કરુણ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
પંચકોષી એ. ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી
આ કાળજું કંપાવનારી ઘટનાની જાણ થતાં જ જામનગર પંચકોષી એ. ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે અને ત્યારબાદ જી.જી. હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે બાળકના મૃતદેહનો કબજો સંભાળીને પીએમ અર્થે મોકલી આપ્યો છે અને સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


