Get The App

સૌરાષ્ટ્રના 9 ડેમો મેદાનમાં ફેરવાયા : રાજ્યના 30 ડેમો 90 ટકા ખાલી થયા

Updated: Apr 15th, 2026

GS TEAM

Google News
Google News
સૌરાષ્ટ્રના 9 ડેમો મેદાનમાં ફેરવાયા : રાજ્યના 30 ડેમો 90 ટકા ખાલી થયા 1 - image

રાજ્યના સ્ટોરેજમાં એક માસમાં 58,675 MCFT ઘટાડો  : ઉત્તર ગુજરાત અને કચ્છ-સૌરાષ્ટ્રમાં જીવંત જળરાશિ 50 ટકાથી ઓછી, 30 ડેમોમાં 70 ટકાથી વધુ સહિત રાજ્યમાં સરેરાશ 63.93 ટકા સંગ્રહ 

રાજકોટ, : ઉનાળામાં લૂ વર્ષા અને બફારા વચ્ચે રાજ્યભરમાં જળમાંગમાં અને જળવપરાશમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે ત્યારે આજની સ્થિતિએ રાજ્યમાં 9 ડેમો મેદાન બની ગયા છે અર્થાત્ 99થી 100 ટકા ખાલી છે જે તમામ ડેમ સૌરાષ્ટ્રના છે. જ્યારે આ સહિત કૂલ 30 ડેમોમાં માત્ર 10 ટકા જ પાણી બચ્યું છે અર્થાત્ 90 ટકા ખાલી છે અને આ પૈકીના 29 ડેમ પણ સૌરાષ્ટ્રના છે.

રાજ્યમાં ઝોન વાઈઝ ચિત્ર મૂજબ ઉત્તર ગુજરાતના 15 ડેમો, સૌરાષ્ટ્રના 141 અને કચ્છના 20 ડેમોમાં સરેરાશ જીવંત જળરાશિ 50 ટકા કરતા પણ ઓછી છે. ખાસ કરીને કચ્છમાં માત્ર 33 ટકા, સૌરાષ્ટ્રમાં 46.57 ટકા પાણી છે. 

ગત એક માસમાં રાજ્યના નર્મદા ડેમ સહિત કૂલ 206 જળાશયોનો જળસંગ્રહ 6,28,904 MCFTમાં 58,675નો ઘટાડો થઈને આજે 5,70,230 MCFT પાણી રહ્યું છે જે કૂલ સંગ્રહક્ષમતાના 63.93 ટકા છે. સર્વાધિક 141 ડેમો સૌરાષ્ટ્રમાં આવેલા છે જેમાં જળસંગ્રહ એક માસમાં 6660 MCFT ઘટીને આજે 44,707 MCFT રહ્યો છે. જો કે ગત વર્ષની સાપેક્ષે તે 7800 MCFT વધારે છે. આમ, રાજ્યમાં જેટલા ડેમો ખાલી થવાની તૈયારીમાં છે એટલા જ 30 ડેમો એવા છે જેમાં આજની સ્થિતિએ 70 ટકાથી વધુ જળસંગ્રહ છે. 

માત્ર એક ડેમ 100 ટકા ભરેલો પણ પાણી પીવાલાયક જ નથી! 

રાજકોટ, : ગુજરાતમાં 3 જળાશયો 100  ટકા ફૂલ ભરાયેલા છે પરંતુ, તેમાં ચુડા તા.ના વંસલ અને તલોદ તાલુકાના જવનપુરા ડેમ તો સાવ નાના 3- 4 MCFTથી ઓછી ક્ષમતાના છે જ્યારે ઉલ્લેખનીય એકમાત્ર ડેમ રાજકોટનો આજી-2 ડેમ છે જે કૂલ 22.09 મિલિયન ક્યુબીક મીટરની ક્ષમતાનો 100 ટકા ભરેલો છે પરંતુ, પીવાના પાણી માટે તે જરાય કામનો નથી, કારણ કે આ ડેમમાં રાજકોટની ગટરનું પાણી ટ્રીટ થઈને જાય છે.