Gujarat

કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના પગલે જોખમી દેશોમાંથી વડોદરા આવેલા ૮૫ લોકોને ક્વોરેન્ટાઇન કરાયાં

By GS Team
1 Dec 20212 mins read
This article was originally published on 1 Dec 2021
કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના પગલે   જોખમી દેશોમાંથી વડોદરા આવેલા ૮૫ લોકોને ક્વોરેન્ટાઇન કરાયાં

વડોદરા, કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોેનનો ગભરાટ વ્યાપક બની રહ્યો છે અને વિદેશથી આવતા લોકો પર ચાંપતી નજર રાખવામાં આવી છે, ત્યારે વડોદરામાં છેલ્લા આઠ દિવસમાં વિશ્વના જુદા જુદા દેશોમાં ૪૭૧ લોકો આવ્યા છે, જેઓનું સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મોનિટરિંગ થઇ રહ્યું છે.

જો કે આ તમામ લોકો સીધા વડોદરા નથી આવ્યા પરંતુ ભારતમાં જુદા જુદા એરપોર્ટ પરથી થઇને અહીં પહોંચ્યા છે. ઓમિક્રોનનો વેરિએન્ટ હાલ જે દેશોમાં સૈાથી વધુ સક્રિય છે એવા જોખમી દેશો પૈકી બોત્સવાનામાંથી બે, દક્ષિણ આફ્રિકાથી - ૧૨, બાંગ્લાદેશથી પાંચ, ન્યુઝિલેન્ડથી - ૧, યુકે તથા યુરોપના બીજા દેશોમાંથી ૬૫ લોકો મળી ૮૫ લોકો આવ્યા છે. આ તમામનો રિપોર્ટ નેગેટિવ છે અને ૭ દિવસ ક્વોરેન્ટાઇન કરાયા છે.જેમાંથી ૧૨ મુસાફરોને ૉ૧૪ દિવસ માટે ક્વોરેન્ટાઇન કરાયા છે.  

બીજુ વિદેશથી આવતા લોકોને એરપોર્ટ પર સેલ્ફ ડિકલેરેશન ફોર્મ ભરવાનું રહે છે જેમાં આરટીપીસીઆર રિપોર્ટ - નેગેટિવ હોવાની વિગતો દર્શાવવાની રહે છે. જે જોખમી દેશો છે ત્યાંથી આવતા પ્રવાસીઓને આરટીપીસીઆર ફરજિયાતપણે કરાવવવાનો રહે છે. જેમાં રિપોર્ટ નેગેટિવ હોય તો ૭ દિવસ હોમ ક્વોરેન્ટાઇન રહેવું પડે છે અને ૮માં દિવસે ફરી ટેસ્ટ કરવાનો રહે છે. તેમાં પણ જો રિપોર્ટ નેગેટિવ  આવે તો પછીના ૭ દિવસ સુધી તેણે જાતે પોતાના સ્વાસ્થ્યનું મોનિટરિંગ કરવુ પડે છે. જો રિપોર્ટ પોઝિટિવ આવે તો સેમ્પલ જેનમીક  ટેસ્ટ માટે મોકલીને આઇસોલેશનમાં રહેવું પડે છે. જેની સારવાર સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ મુજબ કરાય છે. જ્યાં સુધી તેનો રિપોર્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી તેને ડિસ્ચાર્જ કરવાનો રહેતો નથી. જે દેશો જોખમી નથી ત્યાંથી આવતા ટેસ્ટ કરાવવાના રહે છે. જેમાં રિપોર્ટ નેગેટિવ અને પોઝિટિવ આવતા નક્કી કરેલા ધારાધોરણ અનુસરવાના રહે છે. પાંચ વર્ષથી નીચેની ઉમરના બાળકોને ટેસ્ટમાંથી મુક્તિ અપાઇ છે, આમ છતાં જો કોઇ લક્ષણો જણાય તો તેને પણ પ્રોટોકોલ મુજબ સારવાર આપવાની રહે છે.