Gujarat

એમ.એસ.યુનિ.ના નવા વીસી બનવા ૮૦ વ્યક્તિઓએ બાયાડેટા મોકલ્યા

By GS Team
30 Dec 20211 min read
This article was originally published on 30 Dec 2021
એમ.એસ.યુનિ.ના નવા વીસી બનવા ૮૦ વ્યક્તિઓએ બાયાડેટા મોકલ્યા

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના નવા વાઈસ ચાન્સેલરની નિમણૂંક કરવા માટે બનાવવામાં આવેલી સર્ચ કમિટિ સમક્ષ ૮૦ ઉમેદવારોએ પોતાના બાયોડેટા મોકલી આપ્યા હોવાનુ જાણવા મળ્યુ છે.

બીજા શબ્દોમાં કહેવામાં આવે તો યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર બનવા માટે ૮૦ જેટલા લોકોએ રસ બતાવ્યો છે.બાયોડેટા મોકલનારામાં ત્રણ થી ચાર અધ્યાપકો એમ.એસ.યુનિવર્સિટીના પણ હોવાની ચર્ચા છે.જોકે આ વાતને સત્તાવાર સમર્થન મળ્યુ નથી.

કમિટિએ બાયોડેટા મોકલવા માટે લગભગ એક મહિના પહેલા જાહેરનામુ બહાર પાડયુ હતુ અને ૨૬ ડિસેમ્બર બાયોડેટા મોકલવાની અંતિમ તારીખ હતી.આ સમયગાળામાં ૮૦ જેટલી અરજીઓ કમિટિને મળી હોવાનુ યુનિવર્સિટીના સૂત્રોનુ કહેવુ છે.

યુનિવર્સિટીના હાલના વાઈસ ચાન્સેલર પ્રો.પરિમલ વ્યાસનો કાર્યકાળ ૧૦ ફેબુ્રઆરીએ સમાપ્ત થવાનો છે ત્યારે સર્ચ કમિટિ જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં ત્રણ નામ સરકારને સુપરત કરે તેવી શક્યતા છે.જોકે બાયોડેટા મંગાવ્યા બાદ હજી સુધી કમિટિની એક પણ બેઠક યોજાઈ નથી તેવુ સૂત્રોનુ કહેવુ છે.

સર્ચ કમિટિમાં યુનિવર્સિટીની સિન્ડિકેટના પ્રતિનિધિ તરીકે દિલ્હીની નેતાજી સુભાષચંદ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો.સૈની, ગોધરાની ગુરુ ગોવિંદ સિંહ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રતાપસિંહ ચૌહાણ અને ચાન્સેલરના પ્રતિનિધિ તરીકે ડો.અજય રાન્કાનો સમાવેશ કરાયો છે.જે વડોદરાના ઉદ્યોગપતિ પણ છે.

વાઈસ ચાન્સેલરની પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવાર પાસે પ્રતિષ્ઠિત યુનિવર્સિટીનો ઓછામાં ઓછો દસ વર્ષનો અનુભવ તેમજ ૬૨ વર્ષ કરતા ઓછી વય  હોવી જરુરી છે.