Gujarat

ખાનગી શિક્ષણમાં મોંઘવારીની અસરઃ વડોદરા જિલ્લામાં 7 વર્ષમાં 7755 વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલમાં પાછા ફર્યા

By GS TEAM
23 Jun 20262 mins read
ખાનગી શિક્ષણમાં મોંઘવારીની અસરઃ વડોદરા જિલ્લામાં 7 વર્ષમાં 7755 વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલમાં પાછા ફર્યા
symbolic
 વડોદરાઃ વડોદરા જિલ્લાની પ્રાથમિક સ્કૂલો તરફ વાલીઓનો ઝુકાવ વધ્યો હોવાનો અને ખાનગી સ્કૂલો છોડીને બાળકો સરકારી પ્રાથમિક સ્કૂલોમાં પ્રવેશ મેળવી રહ્યા હોવાનો શિક્ષણ વિભાગ તરફથી દાવો કરવામાં આવ્યો છે. 

વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ તરફથી રજૂ કરાયેલા આંકડામાં છેલ્લા સાત વર્ષના સમયગાળામાં જુદાજુદા તાલુકાઓમાં કુલ ૭૭૫૫ વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલો છોડીને પંચાયત હસ્તકની સ્કૂલોમાં પરત ફર્યા હોવાનું જાહેર કરાયું છે.

આ પૈકી સોથી વધુ ૧૮૭૮ વિદ્યાર્થીઓએ પાદરા તાલુકાની જુદીજુદી સરકારી સ્કૂલોમાં પ્રવેશ મેળવ્યો છે.જ્યારે,સૌથી ઓછી સંખ્યા ૩૭૫ વિદ્યાર્થીઓની શિનોર તાલુકામાં  દર્શાવાઇ છે.

શિક્ષણ વિભાગ તરફથી સ્કૂલોની ગુણવત્તા અને સવલતો સુધરવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ પરત ફરી રહ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.પરંતુ સરકારી સ્કૂલો પસંદ કરવાનું  મુખ્ય કારણ ખાનગી સ્કૂલોની ફીમાં વારંવાર થતો વધારો,વારંવાર બદલાતા યુનિફોર્મ,બહારથી ખરીદવા પડતા પુસ્તકો, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વગેરે હોવાનું મનાય છે.

જેની સામે સરકારી સ્કૂલોમાં વિનામૂલ્યે શિક્ષણ ઉપરાંત મદ્યાહ્ન ભોજન,મફત પાઠય પુસ્તકો, ફ્રી યુનિફોર્મ,હેલ્થ ચેકિંગ,ગુણોત્સવ વગેરે સવલતો અપાતી હોય છે.

ક્યા તાલુકામાં કેટલા વિદ્યાર્થી સરકારી સ્કૂલોમાં  પરત ફર્યા

તાલુકો વિદ્યાર્થીની સંખ્યા

પાદરા ૧૮૭૮

સાવલી ૧૨૦૮

કરજણ ૧૧૪૬

ડભોઇ ૧૧૪૦

વડોદરા ૮૫૫

વાઘોડિયા ૭૨૯

ડેસર ૪૨૪

શિનોર ૩૭૫

સ્કૂલનું બિલ્ડિંગ નહિ હોવાથી બે વર્ષથી મદ્રેસામાં ચાલતી ડભોઇના

 મહંમદપુરા ગામમાં જિલ્લાનો શાળા પ્રવેશોત્સવ કેમ યોજાતો નથી

પ્રાથમિક શિક્ષણાધિકારીની મંજૂરી વગર મદ્રેસામાં સ્કૂલ ચલાવી શકાય તેમ જ નથી

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાની મહંમદપુરા ગામની પ્રાથમિક સ્કૂલ મદ્રેસામાં ચાલતી હોવાના મુદ્દે વિવાદ ઓછો થતો નથી.

જિલ્લા પંચાયતની નડા બેઠકના સદસ્ય ભાવેશ પટેલે મહંમદપુરા ગામે બે વર્ષથી સ્કૂલનું બિલ્ડિંગ નહિ હોવાથી મદ્રેસામાં ચાલતી જિલ્લા પંચાયતની સ્કૂલ માટે જવાબદારો સામે પગલાં લેવાની માગ કરી કહ્યું છે કે,શું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની મંજૂરી વગર મદ્રેસામાં સ્કૂલ ચાલી શકે ખરી ?

તેમણે વધુમાં કહ્યું છે કે હાલમાં શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે અને ઉચ્ચ અધિકારીઓ તેમજ મંત્રીઓ તેમાં ભાગ લઇ રહ્યા છે ત્યારે મહંમદપુરા જેવી સ્કૂલોમાં જિલ્લાનો મુખ્ય પ્રવેશોત્સવ યોજાવો જોઇએ,જેથી અધિકારીઓને હકિકત જોવા મળે.