Vadodara : વડોદરા જિલ્લામાં ધૂળેટીના દિવસે ડૂબી જતા, કરંટ લાગવા સહિતના કુલ પાંચ બનાવમાં પાંચ વ્યક્તિના મોત નિપજ્યા હતાં.
ડેસર તાલુકાના સાંઢાસાલ ગામમાં આવેલા ટેકરાવાળા ફળિયામાં રહેતો જયદીપ રંગીતસિંહ ગોહીલ (ઉ.વ.29) મિત્રો સાથે સાવલી તાલુકાના તુલસીપુરા ગામની સીમમાં ધૂળેટી રમવા માટે ગયો હતો. દરમિયાન સવારે તુલસીપુરા ગામની સીમમાં કેસુડાના ઝાડ પર ચઢી ફૂલ તોડવા જતા ઝાડ પરથી પસાર થતી ઇલેક્ટ્રિક લાઇનના વાયર સાથે કરંટ લાગતા ઝાડ પરથી પટકાયેતા જયદીપનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
અન્ય બનાવમાં આણંદ જિલ્લાના વિદ્યાનગર-કરમસદરોડ પર આવેલી વૈકુંઠ પુષ્પક સોસાયટીમાં રહેતા સંદિપ સુરેશભાઇ અગ્રવાલ (ઉ.વ.54) ડેસર તાલુકાના નાની વરણોલી ગામની સીમમાં દેવીશંકર આશ્રમ પાસેની મહી નદીની પાસે ખુલ્લી જગ્યામાં ધૂળેટી રમતા હતા ત્યારે બપોરે અચાનક જમીન પર ઢળી પડતા તેમને ડેસર સરકારી હોસ્પિટલમાં લઇ જતા તેમનું મોત નિપજ્યું હોવાનું ડોક્ટરે જાહેર કર્યુ હતું.
રાજસ્થાનના ભીલવાડાનો મૂળ વતની પરંતુ હાલ કરજણમાં ધાવટ ચોકડી પાસે જુનાબજારીમાં રહેતો રાજકુમાર દેવકિશન ગર્ગ (ઉ.વ.49) નેશનલ હાઇવે પાસેની શીવવાડી કેનાલની અંદર ડૂબી જતા તેનું મૃત્યુ થયું હતું.
જ્યારે ઉત્તર પ્રદેશના કાનપુરનો મૂળ રહીશ પરંતુ હાલ સેવાસીમાં જલસા એપાર્ટમેન્ટની પાછળ લિવિંગ સોસાયટીમાં ક્રિકેટરના ઘેર રહેતો આશિષ શ્યામકુમાર શર્મા (ઉ.વ.21) ગઇ કાલે સાંજે ભીમપુરા શેરખી નર્મદા કેનાલની પાળી પર મિત્રો સાથે ચાલતો જતો હતો અને ચાલતા ચાલતા મોબાઇલ જોતો હતો ત્યારે પાળી પરથી પગ લપસી જતા કેનાલમાં ડૂબી જતા લાપત્તા થયો હતો. ફાયર બ્રિગેડ દ્વારા તેને બહાર કાઢી ગોત્રી હોસ્પિટલમાં લઇ જતા તેનું મોત નિપજ્યું હતું.
જ્યારે ભાયલીમાં સુથાર ફળિયામાં રહેતા શાંતિલાલ અંબાલાલ પરમાર (ઉ.વ.58) ઘર નજીકના પ્રોવિઝન સ્ટોરમાં દૂધ લઇને સાંજે ઘેર પરત ફરતા હતા ત્યારે અચાનક ચાલતા ચાલતા પડી જતા તેમનું મોત થયું હતું.


