- નડિયાદની 'દિનશા નસગ કોલેજ'ના વિદ્યાર્થી
- એટ્રોસિટી અને આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયા બાદ પણ આરોપી નહીં પકડાતા પોલીસની કામગીરી ઉપર સવાલ
નડિયાદ : નડિયાદની 'દિનશા પટેલ નર્સિંગ કોલેજ'ના પ્રથમ વર્ષના વિદ્યાર્થી 'જય પાટીલ'ના આપઘાત પ્રકરણમાં પોલીસની કામગીરી સામે અનેક ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે. આ ચકચારી કિસ્સામાં કોલેજના પ્રિન્સિપાલ, મહિલા પ્રોફેસરો અને 'સ્મિત' નામના શખ્સ સહિત પાંચ સામે એટ્રોસિટી અને આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે છતાં તમામ આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. અન્ય ગુનાઓમાં ગણતરીના કલાકોમાં આરોપીઓને દબોચી લેતી પોલીસ આ હાઈપ્રોફાઈલ કેસમાં કેમ ઢીલી નીતિ અપનાવી રહી છે તે ચર્ચાનો વિષય બન્યો છે.
મૃતક વિદ્યાર્થી જય પાટીલે પોતાની સ્યુસાઈડ નોટમાં પ્રોફેસરો દ્વારા કરવામાં આવતા માનસિક ત્રાસ અને પાયાવિહોણા આક્ષેપોનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યોે હતો. આ કેસમાં સૌથી શંકાસ્પદ ભૂમિકા સ્મિત નામના શખ્સની બહાર આવી છે. સ્મિતે જયને કોલેજ કેમ્પસની બહાર લઈ જઈને ધમકાવ્યો હતો અને ત્યારબાદ નહેર પાસે ૩૦ જેટલા માણસોનું ટોળું ભેગું કરીને માનસિક રીતે તોડી નાખ્યો હતો, તેવી વિગતો બહાર આવી છે. કોલેજની આંતરિક શિસ્તના નામે બહારના શખ્સને આવી સત્તા કોણે આપી અને કોલેજ પ્રશાસન આ આખી ઘટના દરમિયાન કેમ મૌન રહ્યું તે બાબત અનેક શંકાઓ જન્માવે છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં તમામ આરોપીઓ પોતાના રહેણાંક સ્થળેથી ફરાર થઈ ગયા છે અને તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની તપાસ ચાલુ હોવાનું જણાવી રહ્યાં છે, પરંતુ હજુ સુધી એક પણ આરોપીની અટકાયત કરવામાં આવી નથી. એક આશાસ્પદ યુવાનના મોત બાદ પણ પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે જે તત્પરતા બતાવવી જોઈએ તેનો અભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. બીજી તરફ જયના પરિવારજનો ન્યાયની આશાએ પોલીસ કાર્યવાહી તરફ મીટ માંડીને બેઠા છે ત્યારે પોલીસની આ ઢીલી કામગીરીથી લોકરોષ પણ જોવા મળી રહ્યો છે. પોલીસ ફરિયાદમાં નોંધાયેલા આરોપીઓના નામ 'દિનશા પટેલ નર્સિંગ કોલેજ'ના પ્રિન્સીપાલ, ધારા મેડમ, પ્રકૃતિ મેડમ, શહેરીન મેડમ અને અન્ય એક શખ્સ સ્મિત.


