વડોદરામાં પ્રાણીઓ માટે 4 હોસ્પિટલ અને શહેર બહાર મરેલા ઢોરોના નિકાલ માટે વધુ 1 સ્લોટર હાઉસ બનશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા શહેરમાં રખડતા ઢોર અને કુતરાના ત્રાસને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે એટલું જ નહીં મરેલા ઢોરોના નિકાલ માટે વાડી વિસ્તારમાં સ્લોટર હાઉસ બનાવવામાં આવ્યું છે તે પણ કોર્પોરેશન માટે માથાનો દુખાવો બની ગયું છે. ત્યારે વડોદરા કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ પ્રાણીઓ માટે ચાર ઝોનમાં ચાર હોસ્પિટલ અને શહેર બહાર વધુ એક સ્લોટર હાઉસ બનાવવાનું આયોજન હાથ ધર્યું છે.
આ અંગે જાણવા મળતી માહિતી પ્રમાણે મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ પ્રાણીઓના પ્રેમી એવા સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો તેમજ લોકો સાથે એક બેઠક યોજી હતી અને રખડતા કુતરાઓનો ત્રાસ કેવી રીતે ઘટાડી શકાય તે અંગે ચર્ચા વિચારણા કરી હતી અને તેઓને વિશ્વાસમાં લઈ ચાર ઝોનમાં પ્રાણીઓ માટેની ખાસ હોસ્પિટલ બનાવવાનું આયોજન નક્કી કર્યું હતું. સાથે-સાથે આ પ્રાણીઓ માટેની હોસ્પિટલમાં 24 કલાક સેવા મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
આ ઉપરાંત હાલમાં મરેલા ઢોરોના નિકાલ માટે ગાજરાવાડી વિસ્તારમાં સ્લોટર હાઉસ કાર્યરત છે પરંતુ તેનો વિરોધ વર્ષોથી કોંગ્રેસના નેતા ચંદ્રકાંત ભથ્થું દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે આ સ્લોટર હાઉસમાં મરેલા પ્રાણીઓની દુર્ગંધ ફેલાય નહીં તે માટે ખાસ પ્રકારની મશીનરી લગાડવામાં આવી છે અને તેના દ્વારા મરેલા પ્રાણીઓનો નિકાલ કરવામાં આવે છે. પરંતુ આ ગાજરાવાડી સ્થિત સ્લોટર હાઉસ કોર્પોરેશન માટે માથાનો દુખાવો બની ગયું છે કારણ કે આ સ્લોટર હાઉસમાં વડોદરા શહેર ઉપરાંત આજુબાજુના ગામડા અને નગરપાલિકાના વિસ્તારમાંથી પણ મરેલા ઢોરો નિકાલ માટે આવતા હોય છે.
આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખી કોર્પોરેશન દ્વારા શહેર બહાર વધુ એક સ્લોટર હાઉસ તૈયાર કરવામાં આવનાર છે. જે અંગે કોર્પોરેશનની માલિકીની જમીનમાં આ સ્લોટર હાઉસ બનાવવામાં આવશે અને તે ચાર કે પાંચ મહિનામાં કાર્યરત થઈ જશે તેમ જાણવા મળે છે.









