Get The App

છોટા ઉદેપુર: સરકારી ઉદાસીનતાને કારણે 20 પશુ એમ્બ્યુલન્સ 8 મહિનાથી ધૂળ ખાઈ રહી છે, પશુપાલકો બેહાલ

Updated: Mar 26th, 2026

GS TEAM

Google News
Google News
છોટા ઉદેપુર: સરકારી ઉદાસીનતાને કારણે 20 પશુ એમ્બ્યુલન્સ 8 મહિનાથી ધૂળ ખાઈ રહી છે, પશુપાલકો બેહાલ 1 - image


Animal Ambulance Idle in Chhota Udepur: રાજ્ય સરકાર દ્વારા પશુઓની તાત્કાલિક સારવાર માટે લાખોના ખર્ચે ફાળવવામાં આવેલી એમ્બ્યુલન્સો છોટા ઉદેપુર જિલ્લામાં શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે. જિલ્લાના સાત તાલુકાઓમાં છેલ્લા આઠ મહિનાથી 20 જેટલી એમ્બ્યુલન્સો ડોક્ટરો અને ડ્રાઈવરોની અછતને કારણે બંધ હાલતમાં પડી રહી છે, જેના કારણે અંતરિયાળ વિસ્તારના પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

જિલ્લામાં 1962 સેવા ખોરવાઈ 

સરકારની યોજના મુજબ, જ્યારે કોઈ પશુ બીમાર પડે ત્યારે પશુપાલકો 1962 નંબર પર કોલ કરે તો એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘરે આવીને પશુની મફત સારવાર કરતી હતી. પરંતુ હાલમાં સ્ટાફના અભાવે આ સુવિધા ઠપ થઈ ગઈ છે. છોટા ઉદેપુર જિલ્લામાં કુલ 24 એમ્બ્યુલન્સ છે, જેમાંથી માત્ર 4 એમ્બ્યુલન્સ જ કાર્યરત છે.

આદિવાસી બહુલ એવા આ જિલ્લામાં પશુપાલકોને બીમાર પશુને સારવાર માટે 20થી 30 કિલોમીટર દૂર પશુ ચિકિત્સા કેન્દ્ર સુધી લઈ જવું પડે છે. ખાનગી વાહનમાં પશુને લઈ જવાનો ખર્ચ પશુપાલકોને પરવડતો નથી, અને ઘણીવાર સમયસર સારવાર ન મળતા પશુ મોતના મુખમાં ધકેલાય છે.

આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો! ઓઇલ સંકટ વચ્ચે નાયરા કંપનીનો મોટો નિર્ણય

તંત્રનો લૂલો બચાવ

આ ગંભીર બેદરકારી અંગે છોટાઉદેપુર જિલ્લાના નાયબ પશુપાલન નિયામક ડો. વિક્રાંત ગરાસિયા સાથે વાત કરતા તેમણે સ્વીકાર્યું હતું કે, 'હાલમાં ડોક્ટર અને ડ્રાઈવરની જગ્યાઓ ખાલી હોવાને કારણે 20 એમ્બ્યુલન્સ બંધ હાલતમાં છે. જ્યારે નવી ભરતી થશે ત્યારે જ આ સેવા ફરી શરૂ થઈ શકશે.'

તાત્કાલિક ધોરણે ડોક્ટરો અને ડ્રાઈવરોની નિમણૂક કરવા માંગ

પશુપાલનનો આક્ષેપ છે કે એક તરફ પશુપાલન અને ડેરી ઉદ્યોગના વિકાસની વાતો કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ લાખોની કિંમતની એમ્બ્યુલન્સો સ્ટાફ વગર ભંગારમાં ફેરવાઈ રહી છે. નેતાઓ એસી ચેમ્બરમાં બેસીને વહીવટ કરે છે પરંતુ ગરીબ પશુપાલકોની ચિંતા કોઈને નથી. જિલ્લામાં તાત્કાલિક ધોરણે 20 ડોક્ટરો અને 20 ડ્રાઈવરોની નિમણૂક કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.