Corruption Crackdown Gujarat: તકેદારી આયોગના તાજેતરના રિપોર્ટ મુજબ ૨૦૨૦ થી ૨૦૨૪ સુધીના પાંચ વર્ષમાં ગુજરાતમાં વિવિધ વિભાગો-કચેરીઓના 1867 સરકારી અધિકારી-કર્મચારીને ભ્રષ્ટાચાર-ગેરરીતિને લઈને જુદી જુદી સજા કરવામાં આવી છે. જેમાં 2024માં 138 વર્ગ-1ના અધિકારી સામે સજાના ઓર્ડર કરવામાં આવ્યા હતા. 246 અધિકારી-કર્મચારીનું પેન્શન રોકી દેવામાં આવ્યું હતું.
પાંચ વર્ષમાં સૌથી વધુ 486 અધિકારી-કર્મચારીને સજા માટેના ઓર્ડર કરાયા
તકેદારી આયોગને ભ્રષ્ટાચાર અને ગેરરીતિને લઈને મળેલી ફરિયાદ બાદ આયોગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવે છે અને તબક્કાવાર રિપોર્ટ મૂકીને ફાઇનલ ઓર્ડર સાથે સરકારને જે તે અધિકારી કે કર્મચારી કે જે દોષિત ઠર્યા હોય તેઓની સામે શિક્ષાત્મક કાર્યવાહીની ભલામણ કરવામાં આવે છે. તકેદારી આયોગના 2024ના રિપોર્ટ મુજબ 2020થી 2024ના કુલ પાંચ વર્ષમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારની ફરિયાદોમાં દોષિત ઠરેલા કુલ 1867 સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને જુદી જુદી સજા આયોગના ઓર્ડર બાદ સરકારના જે તે વિભાગ દ્વારા કરવામાં આવી હતી.
જેમાં 2024માં વર્ગ-1 ના 138 અધિકારી સામે સજાના ઓર્ડર કરવામાં આવ્યા હતા અને 2020થી 2024ના વર્ષમાં વર્ગ-1થી લઈને વર્ગ-3ના 246 અધિકારી-કર્મચારીનું પેન્શન રોકવાનો ઓર્ડર થયો હતો. મહત્ત્વનું છે કે પાંચ વર્ષમાં સૌથી વધુ 486 અધિકારી-કર્મચારીને 2024માં સજા માટેના ઓર્ડર કરવામાં આવ્યા હતા.
2024માં સૌથી વધુ 678 કર્મચારી સામે ભારે શિક્ષાની પંચની ભલામણ
તકેદારી આયોગના 2024ના રિપોર્ટ અનુસાર, 2024ના વર્ષ દરમિયાન કુલ 1382 સરકારી અધિકારી-કર્મચારી સામે જુદી જુદી ભલામણો કરાઈ હતી. જેમાં 678 જાહેર સેવકો સામે ભારે શિક્ષાની કાર્યવાહીની તેમજ 3 જાહેર સેવકો સામે પેન્શન કાપની કાર્યવાહીની અને લાંચ રિશ્વત વિરોધી બ્યુરો તથા અન્ય એજન્સીઓ તરફથી મળેલ અહેવાલની ચકાસણી કરીને 29 જાહેર સેવકો સામે પ્રોસીક્યુશનની મંજૂરી આપવાની એટલે કે ફોજદારી કેસની ભલામણ કરાઈ હતી. આ ઉપરાંત 54 સરકારી કર્મચારી સામે હળવી શિક્ષાની તથા 30 કર્મચારી સામે વસૂલાત જેવી અન્ય કાર્યવાહીની આયોગે સરકારને ભલામણ કરી હતી. પરંતુ 588 સરકારી કર્મચારી સામેના આક્ષેપોમાં તથ્ય જણાતું ન હોઈ તેઓ સામેના પ્રકરણો તફતરે કરવા આયોગે ભલામણ કરી હતી.


