Gujarat

સાબરકાંઠા જિલ્લામાં 15 વર્ષ જુના 33418 વાહનો

By GS Team
30 Oct 20213 mins read
This article was originally published on 30 Oct 2021
સાબરકાંઠા જિલ્લામાં 15 વર્ષ જુના 33418 વાહનો

હિંમતનગર તા. 29

કેન્દ્ર સરકારે જાહેર કરેલી સ્ક્રેપ પોલીસી અંતર્ગત રાજય સરકાર દ્વારા ૧૫ વર્ષ પુરા કરનાર વાહનોની યાદી મંગાવવામાં આવતા સાબરકાંઠા આર.ટી.ઓ.કચેરી દ્વારા નોંધાયેલા વાહનો પૈકી ૧૫ વર્ષ જુના નાના મોટા ૩૩૪૧૮ વાહનોની યાદી મોકલાવવામાં આવી હોવાનુ જાણવા મળી રહ્યુ છે. ભારતમાં વાહનો દ્વારા વધતા જતા પ્રદુષણને કંટ્રોલ કરવા માટે કેન્દ્ર સરકારે થોડાક સમય અગાઉ સ્ક્રેપ પોલીસે અમલમાં મુકવાની જાહેરાત કરી હતી.

આ પોલીસી અંતર્ગત જે વાહનો ૧૫ વર્ષ જુના હોય તેમને રોડ ઉપર ફરતા બંધ કરવાની જોગવાઈ છે. પરંતુ ૧૫ વર્ષ પુરા કરનાર જે વાહનો ફિટનેસ ટેસ્ટમાં પાસ થશે તે ચાલુ રહી શકશે તેવી પણ જોગવાઈ છે. એટલે કે ૧૫ વર્ષનુ આયુષ્ય પુરૂ કરનાર તમામ વાહનોને આ પોલીસી અંતર્ગત નિયત ફી ભરીને વાહન માલીકોએ ફિટનેસ ટેસ્ટ કરાવવાનો રહેશે. આ ટેસ્ટમાં પાસ થનાર જુના વાહનો જ રોડ ઉપર ફરતા રહી શકશે તેવી જોગવાઈ આ નવી પોલીસીમાં હોવાનું જાણવા મળે છે. દેશભરમાં આ પ્રકારની સ્ક્રેપ પોલીસી પ્રથમવાર બની હોવાનુ જાણવા મળે છે. સાબરકાંઠા જિલ્લા આર.ટી.ઓ. વિભાગ દ્વારા તાજેતરમાં ૧૫ વર્ષ પુરા કરનાર વાહનોની યાદી સરકારને મોકલવામાં આવી છે. તેમાં સૌથી વધુ જિલ્લામાં એલ.એમ.વી. વાહનો-૧૪૩૮૪, ટુ-વ્હીલર વાહનો-૧૦૬૭૭, ટ્રેકટરો-૪૪૪૭, ટેક્ષી પાર્સીગ વાહનો-૧૧૩૯, હેવી ગુડ્ઝ વાહનો-૧૦૭૭ હોવાનુ જાણવા મળે છે. સુત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર આગામી દિવસોમાં આ સ્ક્રેપ પોલીસીનો અમલ શરૂ થવાનો હોવાથી સરકારે હાલ ૧૫ વર્ષ પુરા કરનાર વાહનોની યાદી મંગાવી છે. તે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર આર.ટી.ઓ. કચેરીમાંથી યાદી મોકલવામાં આવેલ હોવાનુ આર.ટી.ઓ. અધિકારી આર.પી. પ્રજાપતિએ જણાવ્યુ હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે નાના મોટા જુના વાહનો મોટાપાયે પ્રદુષણ ફેલાવે છે પેટ્રોલ-ડિઝલના ધુંમાડાથી ફેલાતા પ્રદુષણનુ સ્તર અતી જોખમી સ્થિતિએ પહોંચી જવા પામ્યુ છે. તેથી વિશ્વભરમાં આ પ્રદુષણને કંટ્રોલ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલની સાથે સી.એન.જી.થી ચાલતા વાહનોનો વપરાશ વધતા પ્રદુષણમાં આંશીક ઘટાડો થયો છે. જયારે બીજી તરફ રાજય સરકાર આ પ્રદુષણ ઘટાડવા માટે ઈલેક્ટ્રીકથી ચાલતા વાહનોના વપરાશ વધારવા માટે પણ પ્રયાસો કરી રહી છે અને ઈલેક્ટ્રીકથી ચાલતા વાહનોની ખરીદી ઉપર સારી એવી સબસીડી પણ આપવામાં આવી રહી છે.

ઈલેક્ટ્રીક વાહનો ઉપર રૂ. ૧.૫૦ લાખ સુધીની સબસીડી અપાશે

પેટ્રોલ-ડિઝલમાં વધતા ભાવ અને તેની પર્યાવરણ ઉપર થતી અસરના કારણે હવે લોકો ઈલેક્ટ્રીક વાહનો તરફ વળી રહ્યા છે. જો કે ઈલેક્ટ્રીક વાહન માટે થતો ખર્ચ વધુ હોવાથી ગ્રાહકો પાછી પાની કરે છે. ત્યારે રાજય સરકાર દ્વારા ઈલેક્ટ્રીક વાહનો ઉપર રૂ. ૧.૫૦ લાખ સુધીની સબસીડી આપવાની જાહેરાત કરવામાં આવી છે. લોકો ઈલેક્ટ્રીક વાહનોની ખરીદી માટે આગળ આવે તે માટે રાજય સરકાર દ્વારા ઈલેક્ટ્રીક વાહનોની ખરીદી માટે કિલો વોટ દીઠ રૂ. ૧૦ હજારની સબસીડી આપવાની જાહેરાત કરાઈ છે. આ સબસીડી બાકી રાજયોની સરખામણીમાં બમણી હોવાનુ પણ સરકાર દ્વારા જણાવવામાં આવી રહ્યુ છે.