Get The App

રાજ્યમાં 111 ડેમમાં 25%થી ઓછું જળસ્તર, કચ્છ-સૌરાષ્ટ્રના અનેક જળાશયો તળિયાઝાટક

Updated: Jun 10th, 2026

GS TEAM

Google News
Google News
રાજ્યમાં 111 ડેમમાં 25%થી ઓછું જળસ્તર, કચ્છ-સૌરાષ્ટ્રના અનેક જળાશયો તળિયાઝાટક 1 - image


Gujarat Water Crisis: ગુજરાતમાં ચોમાસાના આગમનની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. ત્યારે જળાશયોના ઘટતા જળસ્તરે ચિંતા વધારી છે. રાજ્યના 206માંથી 111 જળાશયોમાં જળસ્તર 25 ટકાથી ઓછું છે. રાજ્યમાં સરેરાશ જળસ્તર 51 ટકા છે જ્યારે 70 ટકાથી 80 ટકા વચ્ચે જળસ્તર હોય તેવા માત્ર 9 જળાશય છે.

ચોમાસું ખેંચાશે તો જળસંકટ ઘેરું બનવાની ભીતિ

મળતી માહિતી અનુસાર, 90 ટકાથી 100 ટકા વચ્ચે જળસ્તર હોય તેવું માત્ર એક જળાશય છે. 80 ટકાથી 90 ટકા વચ્ચે હોય તેવા ત્રણ, 70 ટકાથી 80 ટકા વચ્ચે હોય તેવા પાંચ, 50 ટકાથી 70 ટકા વચ્ચે હોય તેવા 31 જ્યારે 25 ટકાથી 52 ટકા વચ્ચે હોય તેવા 55 જળાશયો છે. આમ, 206માંથી 166 જળાશયોમાં જળસ્તર 50 ટકાથી પણ ઓછું છે.

80 ટકાથી વધુ જળસ્તર હોય તેમાં રાજકોટના આજી-2, મહીસાગરના વણાકબોરી, ભાવનગરના રંઘોળા-હાનઓલનો સમાવેશ થાય છે. રીજિયન પ્રમાણે જોવામાં આવે તો કચ્છમાં સૌથી ઓછું 29.39 ટકા, સૌરાષ્ટ્રમાં 31.31 ટકા, દક્ષિણ ગુજરાતમાં 40.24 ટકા, ઉત્તર ગુજરાતમાં 43.53 ટકા, મધ્ય ગુજરાતમાં 53.12 ટકા જેટલું જળસ્તર છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં 68 ટકા જળસ્તર છે. ચોમાસું ખેંચાય તો જળસંકટ ઘેરું બનવાની ભીતિ સેવાઈ રહી છે. અલબત્ત, જળસંપત્તિ વિભાગના દાવા પ્રમાણે રાજ્યમાં જળનો પૂરતો જથ્થો છે અને જળસંકટ સર્જાવાની કોઈ સંભાવના નથી.

રાજ્યમાં 111 ડેમમાં 25%થી ઓછું જળસ્તર, કચ્છ-સૌરાષ્ટ્રના અનેક જળાશયો તળિયાઝાટક 2 - image

નર્મદાની નહેરોમાં 11મી જૂનથી પાણી છોડાશે

ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવતા આગામી 11 જૂનથી નર્મદાની નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે. સામાન્ય આયોજન કરતાં વહેલા પાણી છોડવાના આ નિર્ણયને કારણે ખરીફ પાકની તૈયારી કરી રહેલા ખેડૂતોને મોટી રાહત મળશે. નર્મદા કમાન્ડ વિસ્તારના સ્થાનિક ધારાસભ્યો અને સાંસદો દ્વારા ખેડૂતોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વહેલું પાણી છોડવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતોને પગલે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં યોજનામાં ઉપલબ્ધ પાણીના જથ્થાની ઝીણવટભરી સમીક્ષા કર્યા બાદ આ સકારાત્મક નિર્ણય લેવાયો હતો.