ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વેરાબિલોની બજવણી કરવામાં આવી છે. કરદાતાઓને પાછલી બાકી રકમપર વ્યાજમાં રાહત મળે તે હેતુથી વિશેષ વ્યાજ માફી યોજના અમલમાં મૂકવામાં આવી છે.
યોજના હેઠળ વર્ષ ૨૦૦૩ પહેલાંના બાકી વેરાના વ્યાજમાં ૧૦૦ ટકા વ્યાજ માફી આપવામાં આવી રહી છે, જ્યારે કાર્પેટ એરીયા પદ્ધતિ મુજબ વર્ષ ૨૦૦૩ પછીના બાકી મિલકત વેરામાં રહેણાંક મિલકતોને ૮૦ ટકા અને બિન-રહેણાંક મિલકતોને ૬૦ ટકા વ્યાજ માફીનો લાભઆપવામાં આવે છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અત્યાર સુધી કુલ રૂ. પ૨૫ કરોડ જેટલી મિલકત વેરાની વસુલાત કરવામાં આવી છે. બાકી મિલકત વેરા અને વ્યવસાય વેરાની સઘન રીકવરી હાથ ધરવામાં આવી છે. તમામ ૧૯ વોર્ડમાં દરરોજ અંદાજે ૬૦૦ જેટલી બિન-રહેણાંક મિલકતોને સીલ કરવામાં આવી રહી છે, જ્યારે અત્યાર સુધીમાં ૬૦ હજાર જેટલી રહેણાંક મિલકતોને નોટિસો પાઠવવામાં આવી છે.
બાકી વેરાની વસુલાત માટે તમામ વોર્ડ કચેરીના રેવન્યુ વિભાગ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં બીજા અને ચોથા શનિવાર, તમામ રવિવાર તથા ધુળેટીની રજા સિવાયની તમામ જાહેર રજાના દિવસોમાં ખુલ્લા રહેશે.


