Get The App

ભારે વિરોધ બાદ પાનમ ડેમ વિસ્તારના 10 ગામોને ફરી શહેરા તાલુકામાં સમાવાયા, સરકારે બહાર પાડ્યું જાહેરનામું

Updated: Jan 2nd, 2026

GS TEAM

Google News
Google News
ભારે વિરોધ બાદ પાનમ ડેમ વિસ્તારના 10 ગામોને ફરી શહેરા તાલુકામાં સમાવાયા, સરકારે બહાર પાડ્યું જાહેરનામું 1 - image


Panchmahal News : પંચમહાલ જિલ્લાના શહેરા મતવિસ્તારમાં આવતા પાનમ ડેમ વિસ્તારના 10 ગામોના રજૂઆત અને વિરોધનો સુખદ અંત આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા નવીન જાહેર કરાયેલા 'ગોધર' તાલુકામાં સમાવાયેલા શહેરાના 10 ગામોને જનભાવનાને માન આપીને ફરીથી શહેરા તાલુકામાં જ યથાવત રાખવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગેનું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવતા પંથકમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

શું હતો વિવાદ?

રાજ્ય સરકાર દ્વારા થોડા સમય પહેલા 17 નવા તાલુકાઓની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં નવો 'ગોધર' તાલુકો અસ્તિત્વમાં આવ્યો હતો. આ તાલુકાની રચનામાં સંતરામપુરના 58 ગામોની સાથે શહેરા તાલુકાના પાનમ ડેમ વિસ્તારના બોરીયા, ચારી, ખુટખર, બલુજીના મુવાડા, કોઠા, જુનાખેડા, આસુંદરીયા, મોર, ઉંડારા અને રમજીની નાળ એમ કુલ 10 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ નિર્ણયને કારણે ભૌગોલિક અને વહીવટી મુશ્કેલીઓ સર્જાઈ હતી, કારણ કે આ ગામો શહેરા મતવિસ્તારમાં હોવા છતાં તેમનો તાલુકો બદલાઈ રહ્યો હતો. જેનો ગ્રામજનોએ સખત વિરોધ કર્યો હતો.

ધારાસભ્યની મધ્યસ્થી અને રજૂઆત

ગ્રામજનોની લાગણી અને માંગણીને સમજીને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે આ મામલે મુખ્યમંત્રી સમક્ષ ભારપૂર્વક રજૂઆત કરી હતી કે, આ 10 ગામો ભૌગોલિક રીતે શહેરા સાથે જોડાયેલા છે. તે શહેરા મતવિસ્તારનો ભાગ છે. ગોધર તાલુકામાં જવાથી ગ્રામજનોને વહીવટી કામકાજ માટે મોટું અંતર કાપવું પડે અને જિલ્લા સ્તરે પણ વિસંગતતા સર્જાતી હતી.

ભારે વિરોધ બાદ પાનમ ડેમ વિસ્તારના 10 ગામોને ફરી શહેરા તાલુકામાં સમાવાયા, સરકારે બહાર પાડ્યું જાહેરનામું 2 - image

સરકારનું નોટિફિકેશન અને ગ્રામજનોનો ઉત્સાહ

મુખ્યમંત્રી અને વહીવટી તંત્રએ લોકહિતમાં નિર્ણય લઈ આ 10 ગામોને ફરીથી શહેરા તાલુકામાં સમાવતું નોટિફિકેશન જારી કર્યું છે. આ સમાચાર મળતા જ બોરીયા, ચારી અને ખુટખર સહિતના દસેય ગામોમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.

ભારે વિરોધ બાદ પાનમ ડેમ વિસ્તારના 10 ગામોને ફરી શહેરા તાલુકામાં સમાવાયા, સરકારે બહાર પાડ્યું જાહેરનામું 3 - image

આ પણ વાંચો: 1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ED દ્વારા ધરપકડ

ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં શહેરાના ચાંદલગઢ ખાતે પહોંચ્યા હતા અને ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની મુલાકાત લઈને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, આ નિર્ણયથી અમારી હાલાકી દૂર થઈ છે અને શાસન-પ્રશાસને અમારી વાત સાંભળી છે.