ગીરમાં સિંહોના મોતનો સિલસિલો, મૃત્યુઆંક વધતાં દોડધામ : સિંહોને બેબેસિયા છે કે સીડીવી એ અંગેનો કોઈ ફોડ નહીં પડાતાં સિંહપ્રેમીઓમાં ચિંતા: અત્યાર સુધીમાં 350 સિંહોના 'ડીટિકિંગ'
જૂનાગઢ, અમરેલી, : એશિયાટિક સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન એવા ગીરનાં જંગલમાં સિંહોના મૃત્યુનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ગીર પૂર્વ અને પશ્ચિમ વન વિભાગમાં બેબેસિયા જેવા જીવલેણ રોગચાળા વચ્ચે વધુ એક સિંહનું સારવાર દરમિયાન મોત નીપજતા વનવિભાગમાં દોડધામ મચી ગઈ છે. વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ અને વેટરનરી તબીબો પણ ગીરમાં પહોંચ્યા છે.
ગીર પૂર્વ અને પશ્ચિમ જંગલની બોર્ડર પર સિંહોમાં રોગચાળો ફેલાયો છે. અગાઉ બે સિંહના બેબેસિયાથી મોત થયા હતા, ભેદી કારણોસર ટૂંકા ગાળામાં ચારથી વધુ સિંહો અને સિંહબાળના મોત નીપજ્યા છે. હવે આજે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવેલા વધુ 1 સિંહનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું છે. હાલ સિંહોમાં રોગચાળો અટકાવવા માટે રસીકરણ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.
અમરેલીમાં સિંહોના મોતના વધતા કેસો અને કેનાઈન ડિસ્ટિમ્પર વાયરસની કથિતપણે તોળાતી ચિંતા વચ્ચે ઊચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ ગાંધીનગર વનવિભાગની એક ઊચ્ચ સ્તરીય ટીમ તાત્કાલિક ગીર પહોંચી છે. આ ટીમમાં ગાંધીનગરથી પ્રિ- સીસીએફ અને સીસીએફ જેવા અધિકારી તેમજ સિનિયર એનિમલ ડોક્ટરોનો સમાવેશ થાય છે. આ કાફલાએ જસાધાર એનિમલ કેર સેન્ટરની મુલાકાત લઈ તાજેતરમાં મૃત્યુ પામેલા સિંહો અંગે જીણવટભરી માહિતી મેળવી છે અને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવેલા અન્ય સિંહોના સ્વાસ્થ્યની સમીક્ષા કરી હતી. હાલ વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ અને વેટરનરી તબીબોએ જસાધારમાં ધામા નાંખ્યા છે. શંકાસ્પદ લક્ષણ ધરાવતા સિંહોને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે લાવવામાં આવેલા સિંહોનું મોનિટરિંગ શરૂ કર્યું છે. જો કે, સિંહોને બેબેસિયા છે કે સીડીવી એ અંગેનો હજુ સુધી કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી ત્યારે સિંહપ્રેમીઓમાં ચિંતા વ્યાપી છે. મળતી માહિતી મુજબ, તકેદારીના ભાગરૂપે વનવિભાગ દ્વારા અત્યાર સુધીમાં 350 સિંહોના 'ડીટિકિંગ' (શરીર પરથી ઈતરડી દૂર કરવી) સહિતના પ્રોએક્ટિવ પગલાં લેવામાં આવ્યા છે.


