Get The App

સુરત પાલિકાના નેચર પાર્કમાં 34 દિવસમાં 1.09 લાખ મુલાકાતીઓ ઉમટ્યા : 30.08 લાખની આવક

Updated: Jun 8th, 2026

GS TEAM

Google News
Google News
સુરત પાલિકાના નેચર પાર્કમાં 34 દિવસમાં 1.09 લાખ મુલાકાતીઓ ઉમટ્યા : 30.08 લાખની આવક 1 - image

Surat Nature Park : ઉનાળાના વેકેશન દરમિયાન સુરત મહાનગરપાલિકાનું સરથાણા નેચર પાર્ક ફરી એકવાર સુરતીઓનું સૌથી લોકપ્રિય પર્યટન સ્થળ સાબિત થયું છે. 34 દિવસનું વેકેશન દરમિયાન 1.09 લાખથી વધુ મુલાકાતીઓ નેચર પાર્કની મુલાકાત લેતાં પાલિકાને 30.08 લાખની આવક થઈ છે. જોકે, મુલાકાતીઓની સંખ્યામાં સતત વધારો થવા છતાં પૂરતો સ્ટાફ ઉપલબ્ધ ન હોવાથી કર્મચારીઓએ ભારે દબાણ વચ્ચે કામગીરી કરવી પડી હતી. 

દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળાના વેકેશને સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કને ફળ્યું છે. વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં પરિવારો, બાળકો અને પ્રકૃતિપ્રેમીઓ નેચર પાર્કની મુલાકાતે ઉમટી પડ્યા હતા. પરિણામે માત્ર 34 દિવસમાં જ એક લાખથી વધુ મુલાકાતીઓએ નેચર પાર્કની મુલાકાત લીધી હતી.

સુરતના નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધે તેમજ વિવિધ પશુ-પક્ષી અને રેપટાઈલ્સ વિશે જાણકારી મળે તે હેતુથી સરથાણા ખાતે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ઝૂલોજીકલ ગાર્ડન અને નેચર પાર્ક વિકસાવવામાં આવ્યો છે. હાલમાં અહીં 24 પ્રજાતિના 128 પ્રાણીઓ, 27 પ્રજાતિના 294 પક્ષીઓ અને 5 પ્રજાતિના 61 રેપટાઈલ્સ મુલાકાતીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સુરત ઉપરાંત દક્ષિણ ગુજરાતના અન્ય શહેરો અને જિલ્લામાંથી પણ લોકો અહીં મુલાકાતે આવે છે.

પાલિકા તંત્રના આંકડા મુજબ 4 મેથી 7 જૂન દરમિયાન કુલ 1,09,189 મુલાકાતીઓએ નેચર પાર્ક ની મુલાકાત લીધી હતી. જેના કારણે પાલિકાને 30,08,950ની આવક થઈ છે. વેકેશનના અંતિમ સપ્તાહ અને ખાસ કરીને છેલ્લા રવિવારે સૌથી વધુ ભીડ જોવા મળી હતી. આખો દિવસ ટિકિટ કાઉન્ટર અને વિવિધ પ્રદર્શન વિસ્તારોમાં મુલાકાતીઓની ભારે અવર જવર જોવા મળી હતી.

જોકે, મુલાકાતીઓની સંખ્યા સતત વધી રહી હોવા છતાં નેચર પાર્કમાં કર્મચારીઓની સંખ્યા મર્યાદિત હોવાનું સામે આવ્યું છે. ટિકિટ વિતરણ, પ્રાણીઓની દેખરેખ, મુલાકાતીઓનું માર્ગદર્શન અને સુરક્ષા સહિતની કામગીરી માટે ઉપલબ્ધ સ્ટાફ પર વધારાનો બોજો આવી ગયો હતો. કર્મચારીઓએ ભારે દબાણ વચ્ચે ફરજ બજાવવી પડી હતી.

બીજી તરફ, પાલ વિસ્તારમાં એક્વેરિયમ પણ દર વર્ષે વેકેશન દરમિયાન સુરતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહે છે. પરંતુ બાંધકામની ખામીના કારણે એક્વેરિયમ લાંબા સમયથી બંધ હોવાથી આ વર્ષે પણ લોકો તેનો લાભ લઈ શક્યા નથી. રિપેરિંગ કામગીરી હજુ પૂર્ણ ન થતાં વેકેશન દરમિયાન એક્વેરિયમની મુલાકાત લેવાની આશા રાખતા અનેક પરિવારોને નિરાશ થવું પડ્યું હતું. તેથી આ વર્ષે વેકેશનનો મોટાભાગનો ધસારો સરથાણા નેચર પાર્ક તરફ જ જોવા મળ્યો હતો.