Gandhinagar

ગાંધીનગર: ONGC પ્લાન્ટમાં આગ લાગતા હાઈવે પર વાહનવ્યવહાર ડાયવર્ટ કરાયો, જાનહાનિ નહીં

By GS Team
13 Aug 20261 min read
TukuTouch Logo
ગાંધીનગરના કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. જ્વલનશીલ પદાર્થોને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર ફાઈટરોએ પાણી અને ફોમનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. શોર્ટ સર્કિટ કે ગેસ લીકેજથી આગ લાગી હોવાની આશંકા છે. ઘટના અંગે વધુ તપાસ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાંધીનગર: ONGC પ્લાન્ટમાં આગ લાગતા હાઈવે પર વાહનવ્યવહાર ડાયવર્ટ કરાયો, જાનહાનિ નહીં

Gandhinagar ONGC Plant Fire: ગાંધીનગરના કલોલ-માણસા હાઈવે પર આવેલા ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)ના પ્લાન્ટમાં ગુરૂવારે (13મી ઓગસ્ટ) વહેલી સવારે અચાનક ભીષણ આગ લાગી હતી. પ્લાન્ટમાં જ્વલનશીલ પદાર્થો હોવાને કારણે જોતજોતામાં અગનજ્વાળાઓ વિકરાળ બની હતી અને કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઊડતા જોવા મળ્યા હતા. જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

ફાયર ફાઈટરોની ટીમોએ પાણી-ફોમનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી

બનાવની ગંભીરતાને ધ્યાને લઈને કલોલ અને ગાંધીનગરથી ફાયર વિભાગનો કાફલો ત્વરિત ઘટનાસ્થળે દોડી ગયો હતો. જવાનોએ સતત પાણી અને ફોમનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવી હતી. સુરક્ષાના આગોતરા પગલારૂપે પ્લાન્ટ આસપાસનો વિસ્તાર તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યો હતો અને કલોલ-માણસા હાઈવે પરના વાહનવ્યવહારને થોડા સમય માટે અન્ય રસ્તે ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ ONGCના ઉચ્ચ અધિકારીઓ સહિત સ્થાનિક પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટ અથવા ગેસ લીકેજના કારણે આ આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.