Get The App

'હું અહીં જ છું, બેબી!' 'ઇન્ડિયન આઇડલ'માંથી હાંકી કઢાયાની વાતો મુદ્દે વિશાલ દદલાનીનો જવાબ

Updated: May 27th, 2026

GS TEAM

Google News
Google News
'હું અહીં જ છું, બેબી!' 'ઇન્ડિયન આઇડલ'માંથી હાંકી કઢાયાની વાતો મુદ્દે વિશાલ દદલાનીનો જવાબ 1 - image

Vishal Dadlani on Indian Idol:બોલિવૂડનો જાણીતો સિંગર અને મ્યુઝિક કમ્પોઝર વિશાલ દદલાની અવારનવાર દેશના સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા માટે જાણીતો છે. તાજેતરમાં દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા NEET પેપર લીક વિવાદ પર તેણે તીખી પ્રતિક્રિયા આપી હતી અને દેશની વર્તમાન સ્થિતિ અંગે ઊંડી નિરાશા વ્યક્ત કરી હતી. જોકે, આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર એવી અફવાઓ જોર પકડવા લાગી હતી કે તેને લોકપ્રિય રિયાલિટી શો 'ઇન્ડિયન આઇડલ'માંથી બહાર કરી દેવામાં આવ્યો છે. હવે આ સમગ્ર વિવાદ અને અફવાઓ પર ખુદ વિશાલે સત્તાવાર સ્પષ્ટતા કરી છે.

શું હતો સમગ્ર વિવાદ?

NEET પેપર લીક મામલે દેશની સ્થિતિને "દયનીય" ગણાવતા વિશાલ દદલાનીએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને લોકોને અપીલ કરી હતી કે આવા અજ્ઞાન લોકોને સત્તાના સ્થાને ન બેસાડો. તેના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે વિવાદાસ્પદ નિવેદનને કારણે તેમને 'ઇન્ડિયન આઇડલ 16'માંથી હટાવી દેવામાં આવ્યો છે.

વિશાલે વીડિયો શેર કરી અફવાઓનો ઉડાવ્યો મજાક

આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકતા વિશાલ દદલાનીએ મંગળવારે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તે 'ઇન્ડિયન આઇડલ'ના સેટ પર જ જોવા મળી રહ્યો છે. શરૂઆતમાં તે રડવાનો અભિનય કરે છે અને ત્યારબાદ જોરથી હસીને કહે છે — "હું અહીં જ છું, બેબી!"

સોશિયલ મીડિયા પર ચાલી રહેલા મેનિપ્યુલેશનથી બચો

આ વીડિયોની સાથે કેપ્શનમાં વિશાલે લખ્યું કે, "યાદ રાખો, ઓનલાઈન દેખાતી દરેક વાત પર આંધળો વિશ્વાસ ન કરશો. અત્યારે ઘણું મેનિપ્યુલેશન ચાલી રહ્યું છે. સત્ય માટે લડતા રહો અને જે કહેવું જરૂરી હોય તે નીડરતાથી કહેતા રહો."

આ સ્પષ્ટતા સાથે એ સાબિત થઈ ગયું છે કે વિશાલ દદલાનીને શોમાંથી બહાર રાખવાના સમાચાર તદ્દન પાયાવિહોણા છે અને તેઓ આગામી સીઝનમાં પણ જજ તરીકે યથાવત રહેશે.

સોશિયલ મીડિયા પર ફેન્સનો મળ્યો પ્રચંડ સપોર્ટ

વિશાલ દદલાનીનો આ અંદાજ ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ તેના આ નીડર વલણની ભરપૂર પ્રશંસા કરી રહ્યા છે. ચાહકોનું કહેવું છે કે જ્યારે પણ કોઈ સેલિબ્રિટી સામાજિક કે રાજકીય વિષયો પર અવાજ ઉઠાવે છે, ત્યારે તેને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. જોકે, વિશાલે ક્યારેય ટ્રોલીંગ કે પોતાના કરિયર પર થનારી અસરોની પરવા કર્યા વિના હંમેશા દેશહિતના મુદ્દાઓ પર અવાજ ઉઠાવ્યો છે.

આ પણ વાંચો: 1976માં થઈ હતી જાહેરાત... શું 50 વર્ષ બાદ પરદા પર આવશે જે.પી. દત્તાની ‘સરહદ’?

ઉલ્લેખનીય છે કે, વિશાલ માત્ર એક શ્રેષ્ઠ કલાકાર જ નથી, પરંતુ 'ઇન્ડિયન આઇડલ'ના મંચ પર પણ તેની સ્પષ્ટવક્તા અને સાથી જજ સાથેના હેલ્થી વાદ-વિવાદ હંમેશા દર્શકોનું ધ્યાન ખેંચતા આવ્યા છે.