- આમિરના વાંધાવચકાઓને કારણે મોડી પડી
- મૂળ પ્લાન કરતાં પોણા બે વર્ષ મોડી આવશે પ્રીતિ ઝિન્ટા આઠ વર્ષ પછી મોટા પડદે દેખાશે
મુંબઈ : નિર્માતા તરીકે આમિર ખાનના વાંધાવચકાના કારણ લાંબા સમયથી ઠેબાં ખાઈ રહેલી સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટાની ફિલ્મ 'લાહોર ૧૯૪૭' હવે છેક આગામી ઓગસ્ટમાં રીલિઝ કરવાનું નક્કી થયું છે.
આ ફિલ્મની જાહેરાત ૨૦૨૩માં કરાઈ ત્યારે ૨૦૨૫ જાન્યુઆરીમાં તો તે રીલિઝ કરી દેવાનું નક્કી કરાયું હતું. સની દેઓલ વર્ષો પછી રાજકુમાર સંતોષીના દિગ્દર્શનમાં કામ કરી રહ્યો હોવાથી તથા પ્રિતી ઝિન્ટા આઠ વર્ષ બાદ મોટા પડદે પાછી ફરી રહી હોવાથી આ ફિલ્મની જાહેરાતને ચાહકોએ વધાવી લીધી હતી.
પરંતુ, આમિરે તેની કૂટેવ મુજબ ફિલ્મમાં વધારે પડતી દખલ દીધી હતી. તેના કારણે ફિલ્મના કેટલાંય દ્રશ્યો વારંવાર રીશૂટ કરવાં પડયાં હતાં. દિગ્દર્શક રાજકુમાર સંતોષી તથા એક્ટર સની દેઓલ બંને આમિરનાં આ કહેવાતાં પરફેકશનના દુરાગ્રહથી ભારે ત્રાસી ગયા હતા.
આ ફિલ્મ લાંબા સમયથી તૈયાર હતી પરંતુ તેમાં થોડા થોડા સુધારાવધારા થતા જ રહ્યા હતા. ગત નવેમ્બર માસમાં અવસાન પામેલા પીઢ એક્ટર ધર્મેન્દ્ર ખુદ આ ફિલ્મની અનએડિટેડ કોપી જોઈ ચૂક્યા હતા.
આ ફિલ્મ અસગર વજાહતનાં નાટક 'જિસને લાહોર નહિ દેખિયા વો જન્મ્યા હિ નહિ' નાટક પર આધારિત છે. તેમાં શબાના આઝમી તથા અલી ફઝલ સહિતના કલાકારો પણ છે.


