શબાના આઝમી સ્વાઈન ફ્લૂની ઝપેટમાં! 102 ડિગ્રી તાવ અને 5 દિવસનું આઈસોલેશન, આંદોલનથી દૂર રહેવું પડ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Illness Halts Activism Temporarily: બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી અને સામાજિક કાર્યકર્તા શબાના આઝમી સ્વાઈન ફ્લૂની ઝપેટમાં આવ્યા છે. દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા વિદ્યાર્થી આંદોલનમાં સક્રિયપણે ભાગ લીધા બાદ શબાના આઝમી અચાનક બીમાર પડ્યાં છે. તબીબોએ તેમની તપાસ કર્યા બાદ સ્વાઈન ફ્લૂનું નિદાન કર્યું છે અને આગામી 5 દિવસ માટે સંપૂર્ણપણે આઈસોલેશનમાં રહેવા તેમજ બેડ રેસ્ટ કરવાની કડક સલાહ આપી છે. આ અસ્વસ્થતાને કારણે તેઓ મુંબઈના શિવાજી પાર્ક ખાતે યોજાનારા વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈ શક્યાં નથી.
અભિનેત્રીની ટીમે આ અંગે સત્તાવાર નિવેદન જાહેર કરતા જણાવ્યું હતું કે, “શબાનાજી શુક્રવારે મુંબઈમાં યોજાનારા આંદોલનમાં ભાગ લેવાના હતા, પરંતુ તેમને 102 ડિગ્રી જેટલો ભારે તાવ આવ્યો છે અને તપાસમાં સ્વાઈન ફ્લૂ હોવાની પુષ્ટિ થઈ છે. હાલમાં તેઓ તબીબી દેખરેખ હેઠળ આરામ કરી રહ્યા છે.”
સોશિયલ મીડિયા પર શેર કરી હેલ્થ અપડેટ
બીમાર હોવા છતાં શબાના આઝમીએ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને પ્રદર્શનકારીઓ પ્રત્યે પોતાની એકતા દર્શાવી છે. તેમણે લખ્યું,
"મારા વહાલા મુંબઈકરો, હું ગઈકાલે તમારા વિરોધ પ્રદર્શનમાં જોડાવાની હતી, પરંતુ હું H1N1નો ભોગ બની છું અને આગામી 5 દિવસ સુધી મારે આઈસોલેશનમાં રહેવું પડશે. તેમ છતાં, હું તમારી લડતને મારું પૂર્ણ સમર્થન આપું છું. મને ગ્રાઉન્ડ લેવલ પરથી યુવાનોના અહેવાલો મળી રહ્યા છે. આ આંદોલનમાં પહેલીવાર ભાગ લઈ રહેલા ઘણા યુવાનોને સમજાયું છે કે તેમના અવાજની કેટલી કિંમત છે. હું તમારી હિંમત અને પ્રતિબદ્ધતાથી પ્રેરિત છું અને સદા તમારી સાથે ઊભી છું."
દિલ્હીમાં પોલીસ કાર્યવાહી દરમિયાન આવ્યો હતો અસ્થમા એટેક
ઉલ્લેખનીય છે કે, NEET પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિઓ અને પેપર લીકના વિરોધમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા હતા. ધર્મેન્દ્ર પ્રધાને હવે રાજીનામુ આપી દીધુ છે. કોકરોચ જનતા પાર્ટી (CJP)ના નેતૃત્વમાં 20 જુલાઈએ યોજાયેલી 'ચલો સંસદ' માર્ચમાં 75 વર્ષીય શબાના આઝમીએ દિલ્હીમાં ભાગ લીધો હતો. આ દરમિયાન ભીડને વિખેરવા માટે પોલીસ દ્વારા છોડવામાં આવેલા ટીયર ગેસના કારણે અસ્થમાના દર્દી એવા શબાના આઝમીને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી અને અસ્થમા એટેક આવ્યો હતો. જોકે, ઇન્હેલરની મદદથી રિકવર થયા બાદ તેઓ ફરીથી વિદ્યાર્થીઓ વચ્ચે પહોંચી ગયા હતા.
વડાપ્રધાનને પત્ર લખીને કરી હતી મધ્યસ્થીની માંગ
એક ઈન્ટરવ્યુ દરમિયાન શબાના આઝમીએ ખુલાસો કર્યો હતો કે આંદોલન આટલું ઉગ્ર બને તે પહેલા જ તેમણે અને તેમના પતિ તેમજ જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે 15 જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ગુપ્ત પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે સરકારને અપીલ કરી હતી કે તેઓ ભૂખ હડતાળ પર બેઠેલા પર્યાવરણવાદી સોનમ વાંગચુક અને વિદ્યાર્થીઓ સાથે સંવાદની શરૂઆત કરે જેથી કોઈ ઉકેલ આવી શકે. જોકે, સરકાર તરફથી કોઈ સકારાત્મક પ્રતિભાવ ન મળતા આખરે તેમણે પોતે જંતર-મંતર જઈને વિદ્યાર્થીઓની લડતમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. હાલમાં આ દિગ્ગજ અભિનેત્રી મુંબઈમાં તેમના નિવાસસ્થાને સ્વાસ્થ્ય લાભ લઈ રહ્યા છે.









