Get The App

રણવીર સિંહ પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રતિબંધ: ડોન-3 વિવાદમાં ફરહાન અખ્તરની ફરિયાદ બાદ FWICEની જાહેરાત

Updated: May 25th, 2026

GS TEAM

Google News
Google News
રણવીર સિંહ પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રતિબંધ: ડોન-3 વિવાદમાં ફરહાન અખ્તરની ફરિયાદ બાદ FWICEની જાહેરાત 1 - image

Ranveer Singh Banned By FWICE Over Farhan Akhtar Don 3 Controversy | બોલિવૂડમાંથી એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. હિન્દી સિનેમાની ચર્ચિત ફ્રેન્ચાઇઝી 'ડોન 3'ને લઈને ચાલી રહેલા ગંભીર વિવાદ વચ્ચે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE) દ્વારા અભિનેતા રણવીર સિંહ પર સત્તાવાર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ડિરેક્ટર ફરહાન અખ્તર અને પ્રોડ્યુસર રિતેશ સિધવાનીની કંપની 'એક્સેલ એન્ટરટેઇનમેન્ટ'ની ફરિયાદ બાદ સોમવારે 25મેના રોજ FWICEએ અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને રણવીર સિંહ પર પ્રતિબંધની જાહેરાત કરી છે. 

રણવીર સિંહ વિરુદ્ધ ફેડરેશનનો આકરો નિર્ણય

ફેડરેશને રણવીર સિંહ વિરૂદ્ધ 'નોન-કોઓપરેશન ડાયરેક્ટિવ' (અસહકારનો આદેશ) જાહેર કર્યો છે, જેનો અર્થ એ થાય છે કે હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો કોઈ પણ ટેકનિશિયન, કલાકાર કે વર્કર રણવીર સિંહ સાથે આગામી સમયમાં કામ નહીં કરે. 

ક્યાંથી કેવી રીતે શરૂ થયો હતો વિવાદ? 

અહેવાલો અનુસાર 'ડોન 3' નું શૂટિંગ શરૂ થવાના ગણતરીના દિવસો બાકી હતા અને પ્રિ-પ્રોડક્શન પર કરોડો રૂપિયાનો ખર્ચ થઈ ગયો હતો. બરાબર એ જ સમયે રણવીર સિંહે અચાનક ફિલ્મમાંથી વોકઆઉટ કરી લીધું હતું. 

રણવીર સિંહ સ્ક્રિપ્ટમાં મોટા ફેરફાર કરવા માંગતો હતો: અહેવાલોમાં દાવો

શાહરૂખ ખાનના સ્થાને વર્ષ 2023માં જ્યારે રણવીર સિંહને 'ડોન 3'નો નવો ચેહરો જાહેર કરાયો ત્યારે ફેન્સ ખૂબ ઉત્સાહિત હતા. પરંતુ ડિસેમ્બર 2025માં, આદિત્ય ધરની ફિલ્મ 'ધુરંધર' ની સુપર સક્સેસ બાદ રણવીરના તેવર બદલાઈ ગયા હતા. અહેવાલો અનુસાર રણવીર સિંહે મૂળ સ્ક્રિપ્ટ અને વાર્તામાં મોટા ફેરફારો કરવાની માંગ કરી હતી, જે ડાયરેક્ટર ફરહાન અખ્તરને બિલકુલ મંજૂર નહોતી. 

સિનેમા ઈન્ડસ્ટ્રીમાં ખોટો ટ્રેન્ડ શરૂ થયો: અશોક પંડિત

FWICEના ચીફ એડવાઈઝર અશોક પંડિતે આ મામલાને ગંભીર ગણાવતા મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, આ બહુ ગંભીર બાબત છે અને કલાકારોનો આ નવો ટ્રેન્ડ બિલકુલ ખોટો છે. તમે શૂટિંગ શરૂ થવાના માત્ર 10 દિવસ પહેલા કોઈ પ્રોજેક્ટમાંથી પાછા ન હટી શકો. અમે ઇન્ડસ્ટ્રીને આ રીતે બરબાદ થવા દઈ શકીએ નહીં. આજે રણવીરે કર્યું, કાલે ગમે તે એક્ટર ફિલ્મ છોડીને જતો રહેશે. અમે જે પણ નિર્ણય લીધો છે તે આખી ઇન્ડસ્ટ્રીના હિતમાં છે. 

ફરહાન અખ્તર અને રણવીર સિંહ વચ્ચે સમાધાનના પ્રયાસો રહ્યા હતા નિષ્ફળ 

આ વિવાદ અગાઉ 'પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયા' પાસે પણ પહોંચ્યો હતો, જ્યાં સિનિયર પ્રોડ્યુસર્સે રણવીર અને ફરહાન વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો.  એક્સેલ એન્ટરટેઇનમેન્ટે દાવો કર્યો છે કે રણવીરના કારણે સેટ ડિઝાઇનિંગ, લોકેશન બુકિંગ અને પ્રિ-પ્રોડક્શન પ્લાનિંગ પાછળ કરોડો રૂપિયા વેડફાઈ ગયા છે. સેટલમેન્ટ અને વળતરને લઈને રણવીર સિંહની ટીમ સાથે થયેલી વાતચીતનો કોઈ સકારાત્મક ઉકેલ ન આવ્યો, જેના લીધે છેવટે ફેડરેશને કડક પગલાં ભરવા પડ્યા. 

હું એક બાબત શીખ્યો છું કે હંમેશા અણધારી આફત માટે તૈયાર રહો: ફરહાન અખ્તર 

તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં ડિરેક્ટર ફરહાન અખ્તરે કરતા કહ્યું હતું કે, છેલ્લા થોડા વર્ષોમાં ઘણું બધું બદલાઈ ગયું છે. તમારે હંમેશા અણધારી આફતો માટે તૈયાર રહેવું પડે છે. જ્યાં સુધી ફિલ્મ કેમેરા પર શૂટ ન થઈ જાય, ત્યાં સુધી તમે કોઈ પણ વસ્તુને ફાઈનલ ન માની શકો.