Entertainment

'રામાયણ'ના VFX ટ્રોલિંગ પર રણબીર કપૂર ભડક્યો, કહ્યું- લોકોને કમ્પ્યુટર કે CGIની સમજ જ નથી!

By GS Team
13 Aug 20263 mins read
TukuTouch Logo
'રામાયણ'ના VFX અને CGI પર થઈ રહેલી ટીકાઓનો ડિરેક્ટર નિતેશ તિવારી, રણબીર કપૂર અને પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ અમેરિકામાં જવાબ આપ્યો હતો. રણબીરે કહ્યું કે, લોકોને CGIની સમજ નથી અને આમાં અગણિત કલાકોની મહેનત છે. નમિતે જણાવ્યું કે, કરોડો ડોલરનો ખર્ચ મોટા પડદાના અનુભવ માટે છે, ફોન પર જોઈને ટીકા કરવી યોગ્ય નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

'રામાયણ'ના VFX ટ્રોલિંગ પર રણબીર કપૂર ભડક્યો, કહ્યું- લોકોને કમ્પ્યુટર કે CGIની સમજ જ નથી!

Ranbir Kapoor on CGI VFX Critics Ramayana: 'રામાયણ'ના ડિરેક્ટર નિતેશ તિવારી, એક્ટર રણબીર કપૂર અને પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ ફિલ્મના વિઝ્યુઅલ ઈફેક્ટ્સ તેમજ કોમ્પ્યુટરથી તૈયાર કરાયેલા અન્ય કામ અંગે થઈ રહેલી ટીકાઓ પર વાત કરી છે. આ ત્રણેય તાજેતરમાં પોતાની ફિલ્મના પ્રમોશન માટે અમેરિકા ગયા હતા, જ્યાં તેમણે આ મેગા પ્રોજેક્ટને હકીકતનું રૂપ આપવા માટે કરવામાં આવેલી સખત મહેનત વિશે ખુલ્લીને વાત કરી હતી.

એક ઈન્ટરવ્યુમાં ટીમે ફિલ્મની પ્રોગ્રેસ અંગે ચર્ચા કરી અને ઓનલાઈન થઈ રહેલી ટીકાઓનો જવાબ આપ્યો. પાર્ટ 1 પૂર્ણ થવા વિશે પૂછવામાં આવતાં ડિરેક્ટર તિવારીએ કન્ફર્મ કર્યું હતું કે, 'અમારું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે અને એડિટ લોક થઈ ચૂક્યું છે. હાલમાં અમે અમારા VFXના કામને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છીએ, જે ખૂબ જ મુશ્કેલ કામ છે. જો તમે ફિલ્મ જોશો તો તમને ખ્યાલ આવશે કે માત્ર VFXને યોગ્ય લુક આપવામાં કેટલી મહેનત લાગી છે.'

લોકોને કમ્પ્યુટર કે CGIની સમજ જ નથી

ફિલ્મમાં ભગવાન રામનો રોલ નિભાવી રહેલા રણબીર કપૂરે પણ વિઝ્યુઅલ ઈફેક્ટ્સની ટીકાઓ પર જવાબ આપતા કહ્યું કે, 'લોકોને CGI (કોમ્પ્યુટર-જનરેટેડ ઈમેજરી)ની સમજ જ નથી. લોકોને ખબર જ નથી હોતી કે કોમ્પ્યુટર-જનરેટેડ ઈમેજરી કેવી રીતે તૈયાર થાય છે. લોકોને એવું લાગે છે કે કોઈએ બસ AIનો ઉપયોગ કર્યો અને કંઈક રિલીઝ કરી દીધું. આમાં અગણિત કલાકોની મહેનત સામેલ છે, જેના પર આર્ટિસ્ટ્સ વર્ષોથી કામ કરી રહ્યા છે. મેં નિતેશ સર અને નમિતને આ પ્રોજેક્ટ શરૂ થયો ત્યારથી જ VFX કૉલ્સ પર બેઠેલા જોયા છે. તેઓ આકાશના કોઈ ચોક્કસ રંગને પણ પરફેક્ટ કરવાનો પ્રયાસ કરે છે.' મને લાગે છે કે અત્યારના સમયમાં અસલી CGIથી દર્શકોને પ્રભાવિત કરવા મુશ્કેલ છે.'

નમિત મલ્હોત્રાનું મોટું નિવેદન

પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ પણ સ્વીકાર્યું કે ફિલ્મને લઈને ઓનલાઈન ઘણી ચર્ચા અને ટીકાઓ થઈ છે. ટીમ લોકોને આ ફિલ્મ બનાવવામાં થઈ રહેલી મહેનત વિશે જણાવવાનો પ્રયાસ કરી રહી છે. નમિત મલ્હોત્રાએ કહ્યું કે, 'અમે મોટા પડદાના એ અનુભવ માટે કરોડો ડોલર ખર્ચી રહ્યા છીએ, અને પછી તમે તેને ખરાબ ઈન્ટરનેટ કનેક્શનવાળા ફોન પર જોઈને કહો છો કે આ ખૂબ સારું નથી.'

તેમણે આગળ કહ્યું કે, 'અત્યારે ઘણો શોરબકોર થઈ રહ્યો છે અને અમે જે કરી શકીએ તેમ છે, તે કરી રહ્યા છીએ. અમે ઘણા બધા ક્રિએટર્સ અને ઈન્ફ્લુએન્સર્સને ફિલ્મ વિશે સાચી માહિતી આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જેથી તેઓ ફિલ્મ વાસ્તવમાં શું છે તેનું યોગ્ય મૂલ્યાંકન કરી શકે.'

ટ્રોલિંગ પર નિતેશ તિવારીએ શું કહ્યું?

નિતેશ તિવારીએ આ મુશ્કેલીનો સ્વીકાર કરતાં કહ્યું કે, 'દુઃખની વાત એ છે કે જો કોઈ ભૂલો શોધવા પર જ મક્કમ છે, તો તમારા સૌથી મોટા પ્રયાસને પણ નજરઅંદાજ કરી દેવામાં આવશે અને તમારી નાની-સરખી ભૂલને પણ ખૂબ મોટી કરીને દર્શાવવામાં આવશે.'

નમિત મલ્હોત્રાના પ્રોડક્શન હેઠળ અને નિતેશ તિવારીના ડિરેક્શનમાં તૈયાર થયેલી 'રામાયણ'માં રણબીર કપૂર રામ, સાઈ પલ્લવી સીતા અને યશ રાવણની ભૂમિકામાં છે. ફિલ્મમાં અન્ય ઘણા કલાકારો પણ મહત્વના રોલમાં જોવા મળશે, જ્યારે સંગીત એ. આર. રહેમાન અને હંસ ઝિમરે આપ્યું છે. આ ફિલ્મ બે પાર્ટમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. જે પૈકી ફિલ્મનો પહેલો પાર્ટ 6 નવેમ્બર 2026ના રોજ દિવાળીના તહેવાર પર રિલીઝ થશે.