Kiara Advani On Dating Life And Marriage : બોલિવૂડની પાવરફુલ એક્ટ્રેસ અને ન્યૂ મોમ કિયારા અડવાણીએ તાજેતરમાં મોર્ડન રિલેશનશિપ, પેરેન્ટિંગ અને પોતાની નાની દીકરી સારાયાહ મલ્હોત્રાના ભવિષ્યને લઈને એવું નિવેદન આપ્યું છે જેની સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા થઈ રહી છે. એક પોડકાસ્ટમાં કિયારાએ જણાવ્યું કે, તે પોતાની દીકરી પર ક્યારેય કોઈ પરંપરાગત દબાણ લાવવા નથી માંગતી. તે ઈચ્છે છે કે તેની દીકરી પોતાની જિંદગી મુક્તપણે જીવે અને પોતાની પસંદગી જાતે કરે.
હું મારી દીકરી પર દબાણ નહીં કરું: કિયારા
કિયારાએ ડેટિંગ અને લગ્ન જેવા સેન્સિટિવ મુદ્દા પર વાત કરતા કહ્યું કે, તે ક્યારેય પોતાની દીકરીને એવું નહીં કહી શકે કે તારે માત્ર એક જ વ્યક્તિને ડેટ કરવાનો છે કે તેની સાથે જ ફરજિયાત લગ્ન કરવાના છે.
તમે વિચારો છો તેવું જ જિંદગીમાં થાય તે જરૂરી નથી: કિયારા
પોતાના જીવનના અનુભવો શેર કરતા કિયારા અડવાણીએ કહ્યું કે, જ્યારે હું મોટી થઈ રહી હતી, ત્યારે મેં જે પણ વ્યક્તિને ડેટ કર્યો, મને હંમેશા એવું જ લાગતું કે હું આ જ વ્યક્તિ સાથે લગ્ન કરીશ. પણ જિંદગી આપણે જેવું વિચારીએ છીએ તેવી નથી હોતી. આજે હું ભગવાનનો આભાર માનું છું કે એવું ન થયું! કારણ કે ભગવાન જેને મારા જીવનસાથી તરીકે પસંદ કર્યો છે, તેની સાથે હું અત્યારે મારી લાઈફમાં ખૂબ જ ખુશ છું.
કિયારાએ ઉમેર્યું કે, જીવનમાં તમે જેટલા પણ સંબંધો બનાવો છો, તે બધા તમને કંઈક ને કંઈક નવું શીખવે છે અને તમને આજે જે વ્યક્તિ છો તે બનાવવામાં મદદ કરે છે.
કિયારા અને સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરે 15 જુલાઈ 2025 ના રોજ દીકરી સારાયાહનો જન્મ થયો હતો. કિયારાએ દીકરીને આપનારી સલાહ વિશે વાત કરતા કહ્યું કે, તે સારાયાહને પોતાની ભૂલોમાંથી શીખવાની આઝાદી આપશે.


