Ranveer Singh Kantara Mimicry Controversy: આજે 24 માર્ચના રોજ કર્ણાટક હાઈકોર્ટે બોલિવૂડ અભિનેતા રણવીર સિંહની ફરિયાદ રદ કરતી અરજી પર સુનાવણી કરી, ફિલ્મ 'કાંતારા ચેપ્ટર 1' ના એક દિવ્ય પાત્ર વિશે કથિત અપમાનજનક ટિપ્પણી કરવા બદલ હાઈ ગ્રાઉન્ડ્સ પોલીસ સ્ટેશનમાં તેની સામે ખાનગી ફરિયાદ અને FIR નોંધવામાં આવી હતી.
'સામાજિક જવાબદારી નિભાવવી જોઈએ'
આ સુનાવણી દરમિયાન રણવીર સિંહના પિતા જગજીત સિંહ ભવનાની કોર્ટમાં હાજર રહ્યા હતા. જસ્ટિસ એમ. નાગપ્રસન્નાની સિંગલ બેન્ચે વાંધાઓ દાખલ કરવામાં થયેલા વિલંબ પર સવાલ ઉઠાવ્યા હતા અને અભિનેતાની ટિપ્પણીઓને 'અયોગ્ય' ગણાવી હતી. પીઠે ભારપૂર્વક જણાવ્યું હતું કે જાહેર હસ્તીઓએ સામાજિક જવાબદારી નિભાવવી જોઈએ.
કોર્ટમાં શું ચર્ચા થઈ?
સુનાવણી દરમિયાન જસ્ટિસ એમ. નાગપ્રસન્નાએ સરકારને પૂછ્યું કે વાંધાઓ દાખલ કરવામાં આટલો સમય કેમ લાગી રહ્યો છે. રણવીર સિંહ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલે કહ્યું, 'લાગે છે કે કોઈ વાંધો જ નથી.' જો કે ફરિયાદ પક્ષના વકીલે દલીલ કરી હતી કે રણવીર સિંહે માગેલી માફી નકલી અને અનિચ્છાએ માગેલી છે. જેના પર પીઠે પૂછ્યું, 'શું રણવીર કોર્ટમાં આવીને માફી માગે? તેઓ માફીનું એફિડેવિટ ફાઈલ કરવાનું કહી રહ્યા છે, હવે વધુ શું જોઈએ? પરંતુ રણવીરે જે કર્યું તે યોગ્ય નહોતું.'
મૌખિક રીતે માફીની માગ!
ફરિયાદ પક્ષના વકીલે કહ્યું કે રણવીર સિંહે 'ચામુંડી દૈવ'ને રાક્ષસ કહ્યા હતા. તેમણે માગ કરી કે રણવીરે મૌખિક રીતે માફી માગવી જોઈએ અને વકીલ સાથે ચામુંડી હિલ્સ જઈને ત્યાં માફી માગવી જોઈએ. પીઠે આ બાબતે સંમતિ દર્શાવતા કહ્યું કે જો ફરિયાદ પક્ષ આગ્રહ રાખશે તો અભિનેતા કોર્ટમાં આવીને માફી માગશે, તો તેમાં કોઈ સમસ્યા નથી ને.?
કોર્ટની ટકોર અને માફીની તૈયારી
વકીલ મલયાલીએ કહ્યું કે ચામુંડી દેવી ન્યાય અપાવે છે અને સર્પ દેવતાએ રણવીરનું રક્ષણ કર્યું છે. રણવીરના વકીલે ખાતરી આપી હતી કે તેઓ માફીનું એફિડેવિટ દાખલ કરશે અને ચામુંડી હિલ્સની મુલાકાત પણ લેશે. કોર્ટે ટકોર કરતા કહ્યું, 'તમારે ચોક્કસપણે મંદિર જવું જોઈએ. તમારાથી ભૂલ થઈ છે અને તમારામાં પસ્તાવાની ભાવના હોવી જોઈએ. અભિનેતાઓની સામાન્ય લોકો પર ઊંડી અસર હોય છે.' આ સાથે જ કોર્ટે આગામી સુનાવણી 10 એપ્રિલ સુધી સ્થગિત રાખી દીધી છે.
શું છે સમગ્ર વિવાદ?
આ વિવાદ નવેમ્બર 2025 માં ગોવા ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (IFFI) દરમિયાન સર્જાયો હતો. આક્ષેપ છે કે રણવીર સિંહે મંચ પર 'પંજુરલી' અને 'ગુલિગા' દૈવા (જે ફિલ્મ 'કાંતારા' દ્વારા પ્રખ્યાત થયા છે)ના પવિત્ર હાવભાવની હાંસી ઉડાવી હતી. વધુમાં, તેમણે ચામુંડી દેવતાને 'મહિલા ભૂત' તરીકે સંબોધ્યા હતા, જ્યારે તે કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં દિવ્ય સ્ત્રી શક્તિ અને રક્ષક દેવી તરીકે પૂજાય છે. હિન્દુ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચતા તેમની સામે ફરિયાદ દાખલ થઈ હતી.જે તે વખતે રણવીર સિંહે સોશિયલ મીડિયા પર માફી માંગતા સ્પષ્ટતા કરી હતી કે તેમનો ઈરાદો માત્ર ઋષભ શેટ્ટીના અભિનયની પ્રશંસા કરવાનો હતો અને તેઓ દરેક સંસ્કૃતિનું સન્માન કરે છે. જોકે, કોર્ટે આ મામલે ગંભીરતા દાખવી છે


