Gujarat

સુરત: લિંબાયત ઝોનના ઝોનલ ચીફ ભાજપના એજન્ટ બનીને કામ કરતા હોવાનો આક્ષેપ

By GS Team
1 Dec 20212 mins read
This article was originally published on 1 Dec 2021
સુરત: લિંબાયત ઝોનના ઝોનલ ચીફ ભાજપના એજન્ટ બનીને કામ કરતા હોવાનો આક્ષેપ

લિંબાયતના રઝા નગરમાં ટ્રાફિકને અડચણરૂપ દુકાનો સામે કામગીરી કરતાં માજી કોર્પોરેટર દ્વારા બેફામ આક્ષેપ

સુરત, તા. 01 ડિસેમ્બર 2021 બુધવાર 

સુરત મ્યુનિ.ના લિંબાયત ઝોનમાં ટ્રાફિકને નડતરરૃપ દુકાનદારો સામે પાલિકાએ કામગીરી શરૃ કરતાં રાજકીય ગરમાટો આવી ગયો છે. પાલિકાની કામગીરી અટકાવવા કોંગ્રેસના માજી કોર્પોરેટર સ્થળ પર આવી ગયાં હતા અને લિંબાયતના ઝોનલ ચીફ ભાજપના એજન્ટ બનીને બેઠા હોવાનો આક્ષેપ કરવા સાથે પાલિકા ગરીબ લોકોને ટાર્ગેટ કરતા હોવાના આક્ષેપ કર્યા હતા.

કોંગ્રેસના માજી કોર્પોરેટરના કારણે લિંબાયત વિસ્તારમાં રાજકીય ગરમાટો આવી ગયો છે. સુરત મ્યુનિ.ના લિંબાયત ઝોનમાં ભાઠેના કેનલ રોડ પર રઝા નગર આવ્યું છે. આ રઝા નગરમાં કેટલીક દુકાનવાળાઓના દબાણના કારણે ટ્રાફિકની ભારે સમસ્યા થઈ રહી છે. આ દુકાનદારોને કારણે બીઆરટીએસ તથા કેનાલ રોડ પર ભારે સમ્સયા થતી હોવાની ફરિયાદ બાદ પાલિકા તંત્રએ દુકાનદારોના દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરી હતી. પાલિકાની ટીમે કામગીરી શરૃ કરતાની સાથે જ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલા સ્થળ પર પહોંચી ગયાં હતા અને પાલિકાની કામગીરી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.

તેઓએ પાલિકાની ટીમ રાજકીય દ્વેષભાવ રાખીને કામગીરી કરી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેઓએ લિંબાયતના ધારાસભ્ય રાજનીતી કરીને રઝાનગરના લોકોને ટાર્ગેટ કરી રહ્યાં હોવાનો આક્ષેપ કર્યો હતો. સાયકલવાલાએ લિંબાયત ઝોનના ઝોનલ ચીફ ભાજપના એજન્ટ બનીને કામગીરી કરી રહ્યાં છે અને દસ વર્ષ કરતાં વધુ સમયથી ધંધો કરતાં લોકોને હેરાન કરી રહ્યાં હોવાનો આક્ષેપ કર્યો હતો. આવા આક્ષેપ સાથે તેઓએ લોકોના ટોળા ભેગા કરી દીધા હતા અને પાલિકાની કામગીરીમાં અવરોધ ઉભો કર્યો હતો. આ ઉપરાંત તેઓએ પાલિકાના કર્મચારીઓને કહ્યું હતુ કે, તમે કોર્પોરેશનના કર્મચારી નથી અમબાનગરના કર્મચારીઓ બની ગયાં છે.  

રઝા નગરની જેમ અન્ય જગ્યાએ પણ દબાણ છે ત્યાં દબાણ દુર કરવાની કામગીરી થતી નથી પરંતુ અહી માત્ર રાજકીય કારણોથી દબાણ હટાવવાની કામગીરી થાય છે તે યોગ્ય નથી. કોંગ્રસના માજી કોર્પોરેટરે કરેલા આ આક્ષેપના કારણે પાલિકાનું રાજકારણ ગરમાયું છે. આગામી દિવસોમાં આ અંગે વધુ વિવાદ થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.