આઈઆઈએફએમમાં થશે રેખાની ઉમરાવ જાનનું સ્ક્રીનિંગ

- આ સદાબહાર અદાકારાને 'એક્સલન્સ ઈન સિનેમા' પારિતોષિકથી નવાજવામાં આવશે
૧૩મી ઓગસ્ટથી ૨૩મી ઓગસ્ટ દરમિયાન મેલબોર્ન ખાતે યોજાયેલા 'ધ ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ' (આઈઆઈએફએમ)માં સદાબહાર અભિનેત્રી રેખાની ફિલ્મ 'ઉમરાવજાન'નું સ્ક્રીનિંગ કરવામાં આવશે. છેક ૧૯૮૧માં રજૂ થયેલી આ ફિલ્મમાં રેખાએ પોતાના અભિનયના જે ઓજસ પાથર્યાં હતા તે આજે પણ અકબંધ છે. ૪૫ વર્ષ પછી આ ફિલ્મનું આઈઆઈએફએમમાં સ્ક્રીનિંગ થવું જ રેખાના સન્માનને ઇંગિત કરે છે. અભિનેત્રી આ ફિલ્મોત્સવમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉપસ્થિત રહેશે. દરમિયાન રેખાને 'એક્સલન્સ ઈન સિનેમા' પારિતોષિકથી નવાજવામાં આવશે. પીઢ અદાકારા સ્વયં આ સ્ક્રીનિંગમાં હાજર રહેશે. કહેવાની જરૂર નથી કે મુઝફ્ફર અલીની 'ઉમરાવજાન' રેખાની કારકિર્દીની સીમાચિહ્નરૂપ ફિલ્મ છે. સાડાચાર દશક પછી પણ તેનો પ્રભાવ ઓસર્યો નથી.
રેખા કહે છે કે મારા મનમાંથી પણ આ સિનેમાની અસર હજી સુધી ઓસરી નથી. 'ઉમરાવજાન' મારી સ્મૃતિમાં, મારા મૌનમાં અને આ ફિલ્મ પર ઓવારી જનારા દર્શકોના દિલમાં સાડાચાર દાયકા પછી પણ યથાવત્ છે અને હવે આ મૂવી વૈશ્વિક મંચ પર બતાવવામાં આવવાની હોવાનું મને ગૌરવ છે, મારા આ સન્માનથી હું ગદ્ગદિત થઈ ગઈ છું.
પીઢ અદાકારા વધુમાં કહે છે કે ફિલ્મોમાં કામ કરવું મારા માટે આજીવન આશિર્વાદ સમાન છે.









