છોટા ઉદેપુર: નસવાડીના કોયારી પાસે 10 ગામને જોડતા રસ્તા પર પડ્યો ભુવો, સ્લેબ અધ્ધર લટકતાં અકસ્માતનો ભય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur News: છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના કોયારી ગામ પાસે નર્મદા નિગમના રસ્તા ઉપર પડેલા ભુવાના કારણે વાહનચાલકો માટે જોખમ ઊભું થયું છે. વરસાદી પાણીના કારણે રસ્તાની નીચેની માટી ધોવાઈ જતાં કોતર ઉપર બનાવવામાં આવેલો સ્લેબ હાલ અધ્ધર લટકી રહ્યો છે. રસ્તાની સ્થિતિ એવી બની છે કે, જો કોઈ ભારે વાહન અહીંથી પસાર થાય તો સ્લેબ બેસી જવાની અથવા તૂટી પડવાની શક્યતા છે. જેના કારણે ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે.
સ્લેબ અધ્ધર લટકતાં અકસ્માતનો ભય
આ રસ્તો નર્મદા નિગમની માલિકીનો છે અને ખોડિયા મેઈન કેનાલને જોડે છે. એટલું જ નહીં, આ માર્ગ આસપાસના આશરે 10 જેટલા ગામોને જોડતો મહત્ત્વનો અને ટૂંકો રસ્તો હોવાથી અહીં દિવસભર વાહનોની અવરજવર રહે છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, રસ્તા પર પડેલો ભુવો અને અધ્ધર લટકતો સ્લેબ ક્યારે મોટી દુર્ઘટનાનું કારણ બની જાય તે કહી શકાય નહીં. ખાસ કરીને રાત્રિના સમયે વાહનચાલકો માટે આ સ્થળ વધુ જોખમી બની શકે છે.
સ્થાનિકોની માગ છે કે, નર્મદા નિગમના અધિકારીઓ તાત્કાલિક સ્થળની મુલાકાત લઈ ભુવાનું સમારકામ કરાવે અને અધ્ધર લટકતા સ્લેબનું સમારકામ કરવામાં આવે. અકસ્માતની ઘટના ઘટે તે પહેલા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવે સ્થાનિકો માગ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે નર્મદા નિગમના અધિકારીઓ આ જોખમી સ્થિતિને ગંભીરતાથી લઈને તાત્કાલિક સમારકામ કરાવે છે કે પછી કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોશે.




