છોટા ઉદેપુર: સાપ કરડેલી મહિલાને ગ્રામજનોએ 3 કિ.મી. સુધી સ્ટ્રેચરમાં ઊંચકીને 108 સુધી પહોંચાડી! મંજૂર થયેલો પાકો રસ્તો ન બનતા ભારે હાલાકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલ કુંડા ગામના નોલિયાબારી ફળિયામાં રોડ-રસ્તાની વિકટ સમસ્યાને કારણે ફરી એકવાર ગ્રામજનોને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે. પાકો રસ્તો ન હોવાને કારણે પશુ ચરાવતી વેળાએ સાપ કરડતા એક મહિલાને દવાખાને પહોંચાડવા માટે ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
3 કિલોમીટર સુધી સ્ટ્રેચરમાં ઉંચકીને 108 સુધી લઈ ગયા
મળતી માહિતી મુજબ, નોલિયાબારી ફળિયાના ખેતરના શેડે પશુ ચરાવી રહેલી મહિલાને અચાનક સાપ કરડ્યો હતો. ચોમાસાના વરસાદી વાતાવરણ અને કાચા-કીચડવાળા રસ્તાના કારણે ગામમાં 108 એમ્બ્યુલન્સ આવી શકે તેમ ન હતી. આથી ગ્રામજનોએ પોતાના જીવના જોખમે મહિલાને કાચા રસ્તેથી 3 કિલોમીટર સુધી સ્ટ્રેચરમાં ઉંચકીને મુખ્ય રોડ પર ઊભેલી 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી, જ્યાંથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
મંજૂર થયેલો રસ્તો ક્યારે બનશે? વહીવટી ઢીલથી ગ્રામજનો રોષે ભરાયા
ગામના સ્થાનિક નેતા માવજીભાઈ ભીલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે,"સરકારે આ રસ્તો મંજૂર કરી દીધો છે, પરંતુ હજુ સુધી વહીવટી કામગીરી બાકી હોવાનું કહીને વિલંબ કરવામાં આવી રહ્યો છે. રસ્તો ક્યારે બનશે તેની કોઈ સ્પષ્ટ માહિતી અપાતી નથી."
અગાઉ સગર્ભાના બાળકનું મોત થયું હતું છતાં તંત્ર નિદ્રાધીન!
સ્થાનિકોના જણાવ્યા મુજબ, અગાઉ પણ આવી ગંભીર ઘટનાઓ બની ચૂકી છે. સમયસર હોસ્પિટલ ન પહોંચી શકવાના કારણે એક સગર્ભા મહિલાને હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ તેના બાળકે જીવ ગુમાવ્યો હતો. અનેકવાર ઉચ્ચ સ્તરે રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા વહેલી તકે પાકો રસ્તો બનાવવામાં ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.









