Business

ઇન્વેસ્ટમેન્ટ જગતના 'મહારથી' વોરેન બફેટની નિવૃત્તિ: 95 વર્ષની વયે 60 વર્ષની CEO તરીકેની ઇનિંગનો અંત

By GS TEAM
31 Dec 20254 mins read
TukuTouch Logo
ઇન્વેસ્ટમેન્ટ જગતના 'મહારથી' વોરેન બફેટ (Warren Buffett)એ 95 વર્ષની વયે નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. આ સાથે બર્કશાયર હેથવેના CEO તરીકેની 60 વર્ષની ઈનિંગનો અંત આવ્યો છે. વૉરેન બફેટની નિવૃત્તિ દુનિયાભરના શેરબજારો અને કોર્પોરેટ વર્લ્ડ માટે પણ એક યુગના અંત સમાન છે. વિશ્વના સૌથી સફળ રોકાણકાર અને 'ઓરેકલ ઓફ ઓમાહા' તરીકે જાણીતા વોરેન બફેટ દુનિયાના દસમા સૌથી ધનિક બિઝનેસમેન છે. હવે તેમનું સ્થાન ગ્રેગ એબેલ (Greg Abel) સંભાળશે. વૉરેન બફેટ છેલ્લા 6 દાયકાથી બર્કશાયર હેથવેનું સફળતાપૂર્વક સુકાન સંભાળતા હતા. તેમણે કારકિર્દીમાં અનેક ઉતાર-ચઢાવ જોયા. તેમની નજર સામે ઘણી મોટી કંપનીઓ ડૂબી ગઈ અને અનેક રોકાણકારો કંગાળ થયા, પરંતુ બફેટની સંપત્તિ અને દરજ્જો સતત વધતો રહ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇન્વેસ્ટમેન્ટ જગતના 'મહારથી' વોરેન બફેટની નિવૃત્તિ: 95 વર્ષની વયે 60 વર્ષની CEO તરીકેની ઇનિંગનો અંત
(IMAGE - IANS)

Warren Buffett Retirement: ઇન્વેસ્ટમેન્ટ જગતના 'મહારથી' વોરેન બફેટ (Warren Buffett)એ 95 વર્ષની વયે નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. આ સાથે બર્કશાયર હેથવેના CEO તરીકેની 60 વર્ષની ઈનિંગનો અંત આવ્યો છે. વૉરેન બફેટની નિવૃત્તિ દુનિયાભરના શેરબજારો અને કોર્પોરેટ વર્લ્ડ માટે પણ એક યુગના અંત સમાન છે. વિશ્વના સૌથી સફળ રોકાણકાર અને 'ઓરેકલ ઓફ ઓમાહા' તરીકે જાણીતા વોરેન બફેટ દુનિયાના દસમા સૌથી ધનિક બિઝનેસમેન છે. હવે તેમનું સ્થાન ગ્રેગ એબેલ (Greg Abel) સંભાળશે. વૉરેન બફેટ છેલ્લા 6 દાયકાથી બર્કશાયર હેથવેનું સફળતાપૂર્વક સુકાન સંભાળતા હતા. તેમણે કારકિર્દીમાં અનેક ઉતાર-ચઢાવ જોયા. તેમની નજર સામે ઘણી મોટી કંપનીઓ ડૂબી ગઈ અને અનેક રોકાણકારો કંગાળ થયા, પરંતુ બફેટની સંપત્તિ અને દરજ્જો સતત વધતો રહ્યો. 

શું છે તેમની નેટવર્થ અને પોર્ટફોલિયો

વૉરેન બફેટ વિશ્વના 10મા સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની નેટવર્થ આશરે રૂ. 12.4 લાખ કરોડ છે. છેલ્લા 5 વર્ષમાં તેમની સંપત્તિમાં 82 અબજ ડૉલરનો વધારો થયો છે. તેમનું મુખ્ય રોકાણ એપલ, કોકા કોલા, અને બેંક ઓફ અમેરિકામાં છે, જેનું મૂલ્ય આશરે ₹25 લાખ કરોડ જેટલું થવા જાય છે. ઓગસ્ટ 2024માં બર્કશાયર હેથવે 1 ટ્રિલિયન ડૉલરની માર્કેટ કેપ વટાવનારી વિશ્વની પ્રથમ નોન-ટેક અમેરિકન કંપની બની હતી.

દાનવીર બફેટ: 99% સંપત્તિ દાનમાં આપશે

વોરેન બફેટ 99% સંપત્તિ દાન કરવાનો સંકલ્પ કર્યો છે. તેઓ અત્યાર સુધીમાં 60 અબજ ડૉલરનું દાન કરી ચૂક્યા છે, જેમાંથી મોટો હિસ્સો ગેટ્સ ફાઉન્ડેશનને મળ્યો છે. તેમની બાકીની સંપત્તિ તેમના નિધન બાદ 10 વર્ષમાં તેમના સંતાનો દ્વારા સંચાલિત ટ્રસ્ટ દ્વારા લોકકલ્યાણ માટે વપરાશે.

વૉરેન બફેટના જીવનના રસપ્રદ પાસાં:

1. ટેકનોલોજીથી અંતર: 11 વર્ષની ઉંમરે પહેલો શેર ખરીદનાર બફેટએ આજીવન કિપેડ ફોનનો જ ઉપયોગ કર્યો. જો કે, એપલના CEO ટિમ કુકે તેમને આઈફોન ગિફ્ટ કર્યો હતો, પણ બફેટ તેનો ઉપયોગ પણ માત્ર ફોન કરવા પૂરતો જ કરે છે.

2. ₹34 લાખ કરોડનું જંગી કેશ રિઝર્વ: બર્કશાયર હેથવે પાસે હાલ $400 બિલિયન (આશરે ₹34 લાખ કરોડ)થી વધુની રોકડ છે. બફેટ આ પૈસાની FD નથી કરતા, પરંતુ તેનો ઉપયોગ 'કંગાળ' થઈ રહેલી સારી કંપનીઓને સસ્તા ભાવે ખરીદવા માટે કરે છે.

3. સંકટમાં તક: બફેટનો મંત્ર છે કે બજાર માટે કોઈ 'ખરાબ સમાચાર' આવે, ત્યારે તે સ્માર્ટ ઇન્વેસ્ટર માટે 'સારા સમાચાર' હોય છે. શેરના ભાવ ઘટે ત્યારે જ ખરીદીનો સાચો સમય હોય છે.


બફેટના રોકાણની ફિલસૂફીના માત્ર બે જ નિયમ 

નિયમ નં. 1: ક્યારેય પૈસા ગુમાવશો નહીં.  

નિયમ નં. 2: નિયમ નંબર 1 ક્યારેય ભૂલશો નહીં.

બફેટનું માનવું છે કે જંગી વળતર પાછળ દોડવા કરતા મૂડીની સુરક્ષા (Capital Preservation) વધુ મહત્ત્વની છે.

હવે ગ્રેગ એબેલ સંભાળશે સુકાન

બર્કશાયર હેથવેએ લાંબા સમયથી વૉરન બફેટના વારસદાર મનાતા અને નોન-ઈન્સ્યોરન્સ બિઝનેસના વાઈસ ચેરમેન ગ્રેગ એબેલને નવા CEO તરીકે નિયુક્ત કર્યા છે. બર્કશાયર હવે એટલી મોટી કંપની બની ગઈ છે કે તેને વધુ મોટી બનાવવા માટે ખૂબ જંગી નફા કે રોકાણની જરૂર પડે છે. તાજેતરમાં થયેલું $9.7 અબજનું ઓક્સીકેમ સંપાદન પણ કંપનીના કુલ નફામાં મોટો ફેરફાર લાવવા માટે પૂરતું નથી.

બર્કશાયર હેથવેમાં શું બદલાશે?

ગ્રેગ એબેલ કંપનીના સંચાલનમાં કેવા બદલાવ લાવે છે તેના પર રોકાણકારોની મજબૂત પકડ રહેશે, જોકે કોઈ મોટા ફેરફારની આશા ઓછી છે. કારણ કે, એબેલ 2018થી જ મોટાભાગના વ્યવસાયો સંભાળી રહ્યા છે અને વૉરન બફેટ પણ માર્ગદર્શક તરીકે કંપનીમાં કાર્યરત રહેવાના છે.

આ પણ વાંચો: ચાંદી ફરી ગબડી, એકઝાટકે 18000 રૂપિયા સુધીનો કડાકો, સોનું પણ 1000થી વધુ તૂટ્યું

બફેટ ચેરમેન પદે રહીને સલાહ-સૂચન આપશે 

અહેવાલ મુજબ, વૉરન બફેટ ચેરમેન તરીકે કાર્યરત રહેશે અને નવા રોકાણો તથા સલાહ-સૂચન માટે દરરોજ ઓફિસ આવશે. એનાલિસ્ટ કેથી સીફર્ટના મતે, 4 લાખ કર્મચારીઓ ધરાવતી આ વિશાળ કંપની માટે એબેલ દ્વારા નેતૃત્વની વધુ વ્યવસ્થિત અને પરંપરાગત પદ્ધતિ અપનાવવી સ્વાભાવિક રહેશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021માં સ્વ. ચાર્લી મંગરે શેરહોલ્ડર્સને ખાતરી આપી હતી કે ગ્રેગ એબેલ બર્કશાયરની મૂળ સંસ્કૃતિ અને વારસાને જાળવી રાખવા સક્ષમ છે.

બર્કશાયરના વર્તમાન પડકારો 

બર્કશાયર પાસે હાલમાં $380 અબજથી વધુની રોકડ અને સરકારી બોન્ડ્સ છે. નવા CEO સામે આ જંગી મૂડીનો સાચો ઉપયોગ કરવાનો મોટો પડકાર હશે, કારણ કે અત્યારે બજારમાં મોટા રોકાણ કે કંપની ખરીદવાની તકો ઓછી છે. બફેટનું CEO પદ છોડવું એ અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ માર્કેટમાં એક ઐતિહાસિક યુગનો અંત છે. તેમની ધીરજ, પ્રામાણિકતા અને તાર્કિક નિર્ણયો લેવાની પદ્ધતિએ પેઢીઓ સુધી રોકાણકારોને પ્રેરણા આપી છે. ભલે ગ્રેગ એબેલના નેતૃત્વમાં નવો પ્રવાસ શરૂ થઈ રહ્યો હોય, પણ બફેટની શીખ અને તેમનો વારસો હંમેશા જીવંત રહેશે.