Get The App

રેપો રેટ ભલે ના બદલાયો, પણ મોંઘવારી મિડલ ક્લાસને રડાવશે! યુદ્ધ અને અલ નીનોના કારણે RBIની ચેતવણી

Updated: Jun 5th, 2026

GS TEAM

Google News
Google News
રેપો રેટ ભલે ના બદલાયો, પણ મોંઘવારી મિડલ ક્લાસને રડાવશે! યુદ્ધ અને અલ નીનોના કારણે RBIની ચેતવણી 1 - image

Inflation Forecast Raised to 5.1% as Governor Malhotra Warns of Oil and Monsoon Risks : રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયાએ દેશમાં મોંઘવારી વધવાની આશંકા વ્યક્ત કરીને સામાન્ય માણસની ચિંતામાં વધારો કર્યો છે. વધતા જતાં ક્રૂડ ઓઇલના ભાવ, વૈશ્વિક સપ્લાય ચેઇનમાં અવરોધો અને ચોમાસાની અનિશ્ચિતતાને કારણે સેન્ટ્રલ બૅંકે ચાલુ નાણાકીય વર્ષ માટે તેના મોંઘવારીના અંદાજમાં મોટો વધારો કર્યો છે.

શુક્રવારે મુંબઈ સ્થિત આરબીઆઇ હેડક્વાર્ટર ખાતે પોતાની પ્રથમ મોનેટરી પોલિસી રિવ્યુ (MPC) બેઠકના પરિણામો જાહેર કરતાં ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટ કર્યું કે, આગામી મહિનાઓમાં Consumer Pricesમાં મોટો ઉછાળો આવી શકે છે.

RBIએ મોંઘવારીનો અંદાજ 4.6%થી વધારીને 5.1% કર્યો

આરબીઆઇ ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે, મોનેટરી પોલિસી કમિટીએ હવે નાણાકીય વર્ષ FY27 માટે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ફ્લેશન (CPI) એટલે કે રિટેલ મોંઘવારીનો અંદાજ વધારીને 5.1 ટકા કર્યો છે. અગાઉના અંદાજમાં તે 4.6 ટકા રાખવામાં આવ્યો હતો. 

આ ફેરફાર પાછળ પશ્ચિમ એશિયા(West Asia)માં ચાલી રહેલો લાંબો સંઘર્ષ, ઊર્જાના વધતા ભાવ અને વૈશ્વિક આર્થિક સ્થિતિમાં આવેલો બગાડ મુખ્ય જવાબદાર છે. આરબીઆઇ ગવર્નરે જણાવ્યું હતું કે, સપ્લાય ચેઇનમાં લાંબા સમયથી ચાલી રહેલી ખલેલ અને ઊર્જાના ઊંચા ભાવોની પ્રતિકૂળ અસરો એપ્રિલની પોલિસીની સરખામણીએ વૃદ્ધિના દરમાં નરમાઈ અને મોંઘવારીના અંદાજમાં થયેલા વધારામાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે.

રેપો રેટ ભલે ના બદલાયો, પણ મોંઘવારી મિડલ ક્લાસને રડાવશે! યુદ્ધ અને અલ નીનોના કારણે RBIની ચેતવણી 2 - image

રેપો રેટ 5.25% પર યથાવત્્: વ્યાજદરમાં કોઈ ફેરફાર નહીં

વૈશ્વિક સ્તરે બગડતી પરિસ્થિતિ હોવા છતાં, આરબીઆઇએ વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યો નથી. બેન્ચમાર્ક રેપો રેટને 5.25 ટકા પર યથાવત્ રાખવામાં આવ્યો છે અને પોલિસીનું વલણ 'ન્યુટ્રલ' રાખ્યું છે. આરબીઆઇનું માનવું છે કે મોંઘવારીના આઉટલુક પર વધુ સ્પષ્ટતા ન મળે ત્યાં સુધી રાહ જોવી જ ડહાપણભર્યું રહેશે.

વર્ષના અંત સુધીમાં મોંઘવારી ચરમસીમાએ પહોંચશે

છેલ્લા કેટલાક મહિનાઓમાં મોંઘવારી આરબીઆઇના 4 ટકાના મધ્યમ ગાળાના લક્ષ્યાંકથી નીચે રહી છે. માર્ચમાં તે 3.4 ટકા અને એપ્રિલમાં 3.5 ટકા હતી. પરંતુ હવે આ રાહતનો સમય પૂરો થઈ રહ્યો હોય તેમ લાગે છે. આરબીઆઇએ ચાલુ નાણાકીય વર્ષના તમામ ચાર ક્વાર્ટર (ત્રિમાસિક ગાળા) માટે મોંઘવારીનો જે ગ્રાફ રજૂ કર્યો છે તે ચોંકાવનારો છે.

ક્રૂડ ઓઇલ બન્યું સૌથી મોટો ખતરો

આરબીઆઇ દ્વારા મોંઘવારીનો ગ્રાફ વધારવા પાછળનું સૌથી મોટું કારણ કાચું તેલ છે. એપ્રિલની સમીક્ષામાં આરબીઆઇએ અંદાજ લગાવ્યો હતો કે આ વર્ષે ક્રૂડ ઓઇલ સરેરાશ 87-88 ડૉલર પ્રતિ બેરલ રહેશે. પરંતુ છેલ્લા બે મહિનામાં ભારતીય બાસ્કેટમાં ક્રૂડ ઓઇલની સરેરાશ કિંમત 110 ડૉલર પ્રતિ બેરલ રહી છે.

પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો 

તેલના આ આંતરરાષ્ટ્રીય ભાવ હવે સ્થાનિક બજાર પર અસર કરી રહ્યા છે. મે મહિનાથી રિટેલ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તેનો આંશિક બોજ ગ્રાહકો પર નાખવાનું શરૂ થઈ ગયું છે. આ સિવાય કોમર્શિયલ એલપીજી (LPG), ઔદ્યોગિક કાચો માલ, કેમિકલ્સ, બેઝ મેટલ્સ, રબર અને પ્લાસ્ટિક પ્રોડક્ટ્સના ભાવ પણ વધ્યા છે, જેની સીધી અસર જથ્થાબંધ મોંઘવારી પર પડી છે, જે એપ્રિલમાં 8 ટકાને પાર પહોંચી ગઈ હતી.

વેતન વધારાની માંગ અને પ્રોડક્ટ્સના ભાવમાં વધારો થશે

આરબીઆઇએ 'સેકન્ડ-રાઉન્ડ ઇફેક્ટ્સ' અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે, જ્યાં શરૂઆતી ભાવવધારો આગળ જતાં વેતન વધારાની માંગ અને પ્રોડક્ટ્સના ભાવોમાં કાયમી વધારાનું રૂપ લઈ લે છે. ગવર્નરે ચેતવણી આપતા કહ્યું કે અપેક્ષાઓ અને વેતન પર સેકન્ડ-રાઉન્ડ અસરો દ્વારા મોંઘવારીનું સામાન્યીકરણ થવું એ એક સ્પષ્ટ શક્યતા છે, જેના પર નજીકથી નજર રાખવાની જરૂર છે. 

ચોમાસાની અછત અને El Ninoનું નવું સંકટ

મોંઘવારી વધારવામાં માત્ર તેલ જ નહીં, પણ કુદરત પણ ભાગ ભજવી શકે છે. આરબીઆઇએ ચેતવણી આપી છે કે ચોમાસામાં સંભવિત અછત અને અલ નીનોની સ્થિતિ ઊભી થવાની આશંકા છે. જો આમ થશે તો કૃષિ ઉત્પાદન, ખાદ્ય પુરવઠો અને ગ્રામીણ માંગ પર તેની માઠી અસર થશે. જો કે, રાહતની વાત એ છે કે દેશમાં અનાજનો પૂરતો સ્ટોક અને જળાશયોમાં પાણીનું સારું સ્તર આ સંકટને થોડું હળવું કરી શકે છે.