Get The App

ઉદ્યોગોના ગુણવત્તા નિયંત્રણ આદેશો હળવા કરવા રજૂઆત

- ક્વોલિટી કન્ટ્રોલ ઓર્ડરનો હેતુ સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા અને આયાત ઘટાડવાનો હતો

- ઈરાન યુદ્ધને કારણે સપ્લાય ચેઇન ખોરવાઈ

Updated: Mar 26th, 2026

GS TEAM

Google News
Google News
ઉદ્યોગોના ગુણવત્તા નિયંત્રણ આદેશો હળવા કરવા રજૂઆત 1 - image

અમદાવાદ : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષે ભારતીય ઉદ્યોગો માટે પુરવઠા અવરોધો ઉભા કર્યા છે. તેમણે સરકારને ચીન જેવા દેશોમાંથી મહત્વપૂર્ણ ઘટકોના સોર્સિંગને મંજૂરી આપવા માટે ગુણવત્તા નિયંત્રણ આદેશો એટલે કે ક્વોલિટી કન્ટ્રોલ ઓર્ડર (QCO) હળવા કરવા માટે રજૂઆત કરાઈ છે. 

હાલમાં, ચીનથી મહત્વપૂર્ણ ઘટકોની આયાત પર પ્રતિબંધ છે, જેના કારણે ઉદ્યોગની મુશ્કેલીઓ વધી ગઈ છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં પોતાના વલણમાં નરમાઈનો સંકેત આપ્યો છે, જેનાથી ઉદ્યોગમાં આશા જાગી છે કે ચીન જેવા દેશોમાંથી આયાતને મંજૂરી આપવામાં આવી શકે છે.

બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સના સુત્રોએ જણાવ્યું હતું કે ઓટોમોટિવ, ઇલેક્ટ્રોનિક્સ અને સ્ટીલ ઉદ્યોગોએ ગુણવત્તા નિયંત્રણ આદેશો હટાવવાની રજૂઆત કરી છે. આ હેઠળ, સેંકડો ઉત્પાદનો, ઘટકો અને કાચા માલના ઉત્પાદન, આયાત અને વિતરણ માટે બીઆઈએસ પ્રમાણપત્ર ફરજિયાત છે.

જો ગુણવત્તા નિયંત્રણના આદેશો હળવા કરવામાં આવે તો ઉદ્યોગો માટે ચીન જેવા વૈકલ્પિક સ્ત્રોતોમાંથી પુરવઠો મેળવવાના દરવાજા ખુલશે. ઘણા ઉદ્યોગો પુરવઠાની અછતનો સામનો કરી રહ્યા છે, અને સરકાર તેમની રજૂઆતોની સમીક્ષા કરી રહી છે. ટૂંક સમયમાં અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે. સરકારે તાજેતરમાં ચોક્કસ પ્રકારના એલ્યુમિનિયમ ઉત્પાદનો પર ગુણવત્તા નિયંત્રણ મુલતવી રાખ્યું છે, જે તેના વલણમાં નરમાઈનો સંકેત આપે છે.

ઓટો પાર્ટ્સ ઉત્પાદકોએ પણ સરકારને ચોક્કસ પ્રકારના સ્પેશિયાલિટી સ્ટીલ પર ગુણવત્તા નિયંત્રણના આદેશો હળવા કરવા રજૂઆત કરી છે. તેવી જ રીતે, ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદકોએ પણ એસી કોમ્પ્રેસર પરના નિયમોનું પાલન કરવા માટે વધારાનો સમય માંગ્યો છે.

૨ ટન અને તેથી વધુ ક્ષમતાવાળા કોમ્પ્રેસર માટે ગુણવત્તા નિયંત્રણ આદેશનું પાલન કરવાની અંતિમ તારીખ ગયા મહિને સમાપ્ત થઈ ગઈ હતી, જ્યારે ૧.૫ ટન ક્ષમતાવાળા કોમ્પ્રેસર માટે, તે આવતા મહિને સમાપ્ત થઈ રહી છે. ઉદ્યોગ કહે છે કે જો આ માફ કરવામાં નહીં આવે, તો દેશમાં AC ઉત્પાદન પ્રભાવિત થશે, કારણ કે અડધાથી વધુ કોમ્પ્રેસર આયાત કરવામાં આવે છે, જેમાંથી મોટાભાગના ચીનથી આવે છે.

જાણકારોએ જણાવ્યું હતું કે ગુણવત્તા નિયંત્રણ આદેશોનો હેતુ સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા અને આયાત ઘટાડવાનો હતો. જો કે, પશ્ચિમ એશિયામાં કટોકટીએ શિપિંગ રૂટને વિક્ષેપિત કર્યા છે, જેના કારણે બજારમાં કાચા માલની અછત સર્જાઈ છે. ચીન એક વિકલ્પ હોઈ શકે છે, પરંતુ ત્યાંથી આયાત કરવા માટે સરકારે ગુણવત્તા નિયંત્રણ નિયમોમાં છૂટછાટ આપવી પડશે.