Business

ક્રિપ્ટોકરન્સીનું નિયમન કરવું મુશ્કેલ : ભારત સહિત વિકાસશીલ અર્થતંત્રો માટે ખતરો : RBI

By GS Team
4 Jul 20262 mins read
TukuTouch Logo
નવી દિલ્હી: રિઝર્વ બેંકે સંસદીય પેનલને જણાવ્યું કે, ક્રિપ્ટોકરન્સી જેવી વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ ભારત માટે ખતરો છે અને તેને કાયદેસર ન કરવી જોઈએ. RBI અનુસાર, ડિજિટલ મનીનો ઉપયોગ આતંકવાદી ફંડિંગ અને નાર્કોટિક્સ દાણચોરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે થઈ શકે છે. ક્રિપ્ટોમાં રોકાણકારોની મૂડી ડૂબે તો સરકાર જવાબદાર નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્રિપ્ટોકરન્સીનું નિયમન કરવું મુશ્કેલ : ભારત સહિત વિકાસશીલ અર્થતંત્રો માટે ખતરો : RBI

રોકાણકારો-ટ્રેડરોની મૂડી ડૂબે તો સરકાર કે કોઈ જવાબદાર નથી
ડિજિટલ મનીનો ઉપયોગ આતંકવાદીઓને ફંડિગ અને નાર્કોટિક્સ દાણચોરી જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓ માટે થઈ શકે છે : રિઝર્વ બેંક
નવી દિલ્હી : ક્રિપ્ટોકરન્સી જેવી વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ ભારત જેવા ઊભરતા-વિકાસશીલ અર્થતંત્ર માટે ખતરો છે અને આવી એસેટ્સને દેશમાં કાયદેસર બનાવવી જોઈએ નહીં, એમ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ સંસદીય પેનલને સ્પષ્ટ જણાવી દીધું છે. ભારતમાં સરકારની કોઈપણ નિયામક સંસ્થા-બોડી દ્વારા ક્રિપ્ટોકરન્સી જેવી વર્ચ્ચયુઅલ ડિજિટલ એસેટ્સનું નિયમન થતું નથી એટલે આવી કોઈપણ કરન્સીમાં ખેલો કરનારા કે રોકાણ સમજીને રોકાણ કરનારાની મૂડી ડૂબે તો સરકાર કે કોઈપણ ડિપાર્ટમેન્ટ જવાબદાર રહેતું નથી.
ભાજપના મેમ્બર ભર્તૃહરિ મહતાબની આગેવાની હેઠળની સંસદીય સ્થાયી સમિતિને આરબીઆઈએ એમ પણ કહ્યું હતું કે, ચીન અને કતાર એવા દેશોમાં સામેલ છે, જેમણે આવી નાણાકીય પ્રવૃતિઓ પર પ્રતિબંધ મૂક્યો છે, જ્યારે યુરોપે ખૂબ જ કડક, નિયંત્રિત રીતે વર્ચ્યુઅલ ડિજિટલ કરન્સી-એસેટ્સને મંજૂરી આપી છે.
સમિતિએ 'વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ (વીડીએ) પર અભ્યાસ અને આગળ વધવાનો માર્ગ' વિષય પર આરબીઆઈના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. સમિતિએ ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ)ના પ્રતિનિધિઓ સાથે વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ અને આગળ વધવાનો માર્ગ વિષય પર પણ ચર્ચા કરી હતી. ચર્ચાથી વાકેફ સૂત્રોએ જણાવ્યું હતું કે, આરબીઆઈ એ પેનલને જણાવ્યું હતું કે, વીડીએ ભારત જેવા ઊભરતા અર્થતંત્ર માટે ખતરો છે અને આ તબક્કે ભારતમાં તેને કાયદેસર બનાવવું જોઈએ નહીં.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રજૂઆત કરી હતી કે, ડિજિટલ નાણાનો ઉપયોગ આતંકદાવી ભંડોળ અને નાર્કોટિક્સ દાણચોરી જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓ માટે થઈ શકે છે. આ ઉપરાંત જણાવ્યું હતું કે, ક્રિપ્ટો ટ્રેડિંગમાં સામેલ ઓફશોર એન્ટિટી પર નજર રાખવી ખૂબ જ મુશ્કેલ છે, જે નિયમનકારી સત્તાવાળાઓ માટે નોંધપાત્ર પડકારો ઊભા કરે છે. મીટિંગ બાદ, મહતાબે સંવાદદાઓને જણાવ્યું હતું કે, આરબીઆઈ ભારતમાં વીડીએ ને કાયદેસર બનાવવાનો વિરોધ કરે છે.
ભાજપના નેતાએ એમ પણ કહ્યું હતું કે, સમિતિ આવકવેરા કાયદા અનુસાર વીડીએ ના ભાગનું ઓડિટ કરી રહી છે. દેશના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોની સર્વોચ્ચ સંસ્થાએ પણ સમિતિને રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે, તેઓ વ્યાપક વીડીએ કાયદાને સમર્થન આપે છે. આઈસીએઆઈએ જણાવ્યું હતું કે, તે હિસ્સેદારો માટે સ્પષ્ટતા વધારવા અને વીડીએ સંબંધિત નાણાકીય રિપોર્ટિંગ અને પાલન માળખાને મજબૂત બનાવવા માટે સિદ્વાંત-આધારિત અભિગમ અને માર્ગદર્શન પૂરું પાડીને મદદ કરી શકે છે. વીડીએ માટે એકાઉન્ટિંગ અને ઓડિટિંગ આઈસીએઆઈ વીડીએ ના વિવિધ સ્વરૂપો પર વ્યાપક સંશોધન હાથ ધરી શકે છે.