અમેરિકામાં ગૌતમ અદાણી અને સાગર અદાણી સામેના લાંચ અને છેતરપિંડીના તમામ કેસ રદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gautam Adani: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને સાગર અદાણી સામે અમેરિકન કોર્ટમાં ચાલતા ગુનાહિત આરોપોને કોર્ટે ફગાવી દીધા છે. ન્યૂયોર્કના ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટના યુએસ ડિસ્ટ્રિક્ટ જજ નિકોલસ ગારૌફિસે ફેડરલ પ્રોસિક્યુટર્સને આરોપો પાછા ખેંચવાની મંજૂરી આપતા આ કેસ બંધ કરવાનો ચુકાદો આપ્યો છે. આ મહત્ત્વપૂર્ણ નિર્ણય બાદ ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'x' પર પોતાની પ્રતિક્રિયા આપતા ન્યાયપ્રણાલી પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ પડકારજનક સમયમાં સત્ય, નિષ્પક્ષતા અને કાયદાના શાસનમાં તેમનો વિશ્વાસ હંમેશાં અડીખમ રહ્યો છે.
જજ ગારૌફિસનો ચુકાદો અને DoJનું વલણ
કોર્ટના નિર્ણય પહેલાં, જજે કાયદાકીય બાબતો અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને સરકારી વકીલો (પ્રોસિક્યુટર્સ) પાસે કેસ પાછો ખેંચવાનું કારણ માંગ્યું હતું. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DoJ)ના ખુલાસાથી સંતોષ માનીને જજે સ્પષ્ટ કર્યું કે આરોપો રદ કરવાનો આ નિર્ણય સંપૂર્ણપણે કાયદાના દાયરામાં અને ન્યાયના સિદ્ધાંતો મુજબ જ લેવાયો છે. DoJએ પણ કોર્ટમાં સ્વીકાર્યું હતું કે અદાણી ગ્રુપ સામેનો આ કેસ કાયદાકીય રીતે નબળો હતો અને અમેરિકાના અધિકારક્ષેત્રની બહારનો હોવાથી, તે ક્યારેય દાખલ જ નહોતો થવો જોઈતો.
ભારતના આંતરિક મામલામાં યુએસ હસ્તક્ષેપ અયોગ્ય
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે (DoJ) કોર્ટમાં જણાવ્યું હતું કે, 'આ કેસ પૂરેપૂરો ભારત સાથે જ સંકળાયેલો હતો. તેમાં ભારતીય અધિકારીઓ, ભારતીય કંપનીઓ અને ભારતમાં વીજળી પૂરી પાડવાના કરારો જ મુખ્ય બાબત હતા. અમેરિકાએ 'વિશ્વના પોલીસ' બનીને અન્ય દેશોના મામલામાં પડવું ન જોઈએ, કારણ કે તેનાથી રાજદ્વારી સંબંધો વણસે છે અને સમય તથા સંસાધનોનો ખોટો બગાડ થાય છે. ભારત પોતાની આંતરિક બાબતો અને કાયદાકીય વ્યવસ્થાને અમેરિકન પ્રોસિક્યુટર્સ કરતાં વધુ સારી રીતે સંભાળી શકે છે. આથી જ અદાણી ગ્રુપ સામે લગાવવામાં આવેલા સિક્યોરિટીઝ ફ્રોડના આરોપોનો કોઈ નક્કર કાયદાકીય આધાર નહોતો.'
રોકાણના દાવાઓનું ખંડન અને સત્યની જીત
કોર્ટની કાર્યવાહી દરમિયાન મીડિયાના એ અહેવાલોને પણ સંપૂર્ણપણે ફગાવી દેવામાં આવ્યા હતા, જેમાં દાવો કરાયો હતો કે આ કેસ અદાણી ગ્રુપના અમેરિકામાં પ્રસ્તાવિત રોકાણને કારણે રદ કરવામાં આવ્યો છે. પ્રિન્સિપલ એસોસિએટ ડેપ્યુટી એટર્ની જનરલ આર ટ્રેન્ટ મેકકોટેરે સ્પષ્ટતા કરી હતી કે કોઈ પણ સંભવિત રોકાણની આ નિર્ણયમાં કોઈ ભૂમિકા નહોતી અને કાયદાકીય ખામીઓને કારણે જ આ આરોપો પાછા ખેંચવામાં આવ્યા છે. આ નિર્ણયોથી અદાણી ગ્રુપ માટે વૈશ્વિક સ્તરે મોટી રાહત ઊભી થઈ છે અને સત્યનો વિજય થયો છે.









