સરકાર આપે છે 90000 રૂપિયાની ગેરન્ટી ફ્રી લોન... ક્રેડિટ કાર્ડ પણ આપશે, જાણો કેવી રીતે લાભ લેશો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PM Svanidhi Yojna: જો તમે તમારો પોતાનો કોઈ નાનો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો કેન્દ્ર સરકારની એક ખાસ યોજના તમારા ખૂબ કામ આવી શકે છે. મોદી સરકાર દ્વારા ખાસ કરીને રેકડી-ફૂટપાથ કિનારે પાથરણું પાથરીને કે નાનો સ્ટોલ લગાવીને સામાન વેચતા અને નાના વેપારીઓ માટે શરૂ કરવામાં આવેલી 'પીએમ સ્વાનીધિ યોજના' હેઠળ કોઈ પણ ગેરંટી વિના 90,000 રૂપિયા સુધીની આર્થિક મદદ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત, સરકાર તરફથી અનેક ફાયદાઓ સાથે ફ્રી ક્રેડિટ કાર્ડ પણ આપવામાં આવે છે.
75 લાખથી વધુ લોકોને ફાયદો, માર્ચ 2030 સુધી મળશે તક
કોરોના રોગચાળા દરમિયાન રોજગાર ગુમાવનારા નાના વેપારીઓને મદદ કરવાના હેતુથી જૂન 2020માં આ યોજના શરૂ કરવામાં આવી હતી, જે હવે 31 માર્ચ 2030 સુધી કાર્યરત રહેશે. સરકારી આંકડા અનુસાર, અત્યાર સુધીમાં 75.5 લાખથી વધુ લાભાર્થીઓને આ યોજના હેઠળ આવરી લેવાયા છે અને ₹17,800 કરોડથી વધુ રકમના 1.12 કરોડથી વધુ લોન મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં 55 લાખથી વધુ લાભાર્થીઓ ડિજિટલ રીતે જોડાયેલા છે. આ યોજનામાં ડિજિટલ કેશબેક અને વ્યાજ સબસિડી દ્વારા લાભાર્થીઓને આશરે ₹800 કરોડનો સીધો ફાયદો થયો છે. આ યોજનાના કુલ લાભાર્થીઓમાં 40 ટકા મહિલાઓ છે.
ત્રણ તબક્કામાં મળશે ₹90,000ની ગેરંટી ફ્રી લોન
કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ પહેલાં મહત્તમ ₹80,000ની લોન મળતી હતી, જેમાં હવે ₹10,000નો વધારો કરીને કુલ ₹90,000 કરવામાં આવ્યો છે. આ લોનની રકમ લાભાર્થીને ત્રણ સરળ તબક્કામાં આપવામાં આવે છે:
- પ્રથમ તબક્કો: અરજી મંજૂર થતાં જ સૌથી પહેલાં ₹15,000ની લોન મળે છે.
- બીજો તબક્કો: પ્રથમ ક્રેડિટ અને રીપેમેન્ટના આધારે બીજી હપ્તા તરીકે ₹25,000 આપવામાં આવે છે.
- ત્રીજો તબક્કો: અગાઉની લોન સમયસર ચુકવ્યા બાદ છેલ્લી મંજૂરી રૂપે ₹50,000ની રકમ મળે છે.
આ લોનની ભરપાઈ કરવા માટે નાના-નાના હપ્તાની સરળ સુવિધા પણ આપવામાં આવે છે.
રૂપે ક્રેડિટ કાર્ડ અને ડિજિટલ કેશબેકની સુવિધા
આ યોજના માત્ર લોન પૂરતી સીમિત નથી. જે લાભાર્થીઓ લોનનો બીજો હપ્તો સમયસર ચુકવે છે, તેમને સરકાર તરફથી ₹30,000 સુધીની મર્યાદાવાળું UPI લિંક્ડ રૂપે ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે. આ સિવાય, છૂટક અને જથ્થાબંધ લેવડ-દેવડમાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરવા પર આકર્ષક કેશબેક પણ મળે છે.
અરજી કરવાની પ્રક્રિયા અત્યંત સરળ
PM સ્વાનીધિ યોજના માટે કોઈ મોટી કાગળિયાની ઝંઝટ નથી. આ લોન મેળવવા માટે અરજદારે માત્ર પોતાના ઓળખપત્રના દસ્તાવેજો રજૂ કરવાના રહે છે. દેશની કોઈપણ સરકારી બેંકમાં જઈને આ યોજનાનું ફોર્મ ભરી શકાય છે. ફોર્મમાં જરૂરી વિગતો ભરીને દસ્તાવેજોની નકલ સાથે જમા કરાવ્યા બાદ, બેંક દ્વારા માહિતીની ચકાસણી કરીને ટૂંક સમયમાં લોન મંજૂર કરી દેવામાં આવે છે.









