વોલ્વોને લઈને સ્ટાફને ખેંચી લેવાતા ઉપયોગી એસ.ટી.બસ બંધ કરાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અપડાઉન કરનાર મુસાફરોને ભારે હેરાનગતિ
ખાંભા, રાજુલા, ડેડાણ, વિકટર અને બગસરા તાલુકાના સરપંચો દ્વારા આંદોલનની ચિમકી
રાજુલા - અમરેલી જિલ્લાના ચાર-ચાર તાલુકાને જોડતા અને વર્ષોથી ચાલતી સૌથી વધુ આવકવાળી બગસરાથી મહુવા વાયા કંથારીયા, ખાંભા અને ડેડાણ રૃટની એસ.ટી. બસને તંત્રવાહકોએ મુસાફરોને આગોતરી જાણ કર્યા વગર,અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર અકારણ છેલ્લા મહિનાથી એકાએક બંધ કરી દેવામાં આવતા લાભાર્થી ગામોના મુસાફરોને પારાવાર હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.
એસ.ટી.તંત્ર દ્વારા વોલ્વો બસ શરૃ કરાઈ તે માટે રાજુલા અને બગસરા ડેપોમાંથી મોટી સંખ્યામાં કન્ડકટરોને ખેંચી લેવામાં આવ્યા તેના પરિણામે ડેપો ખાલી અને ગામડાઓના રૃટ બંધ કરાયા છે.આથી શાળા કોલેજના નીયમીત અપડાઉન કરતા વિદ્યાર્થીભાઈઓ તથા બહેનો, ખેડૂતો, હિરાઘસુ નોકરીયાતો અને દર્દીઓ ખાનગી વાહનોના મોંઘાદાટ ભાડા ભરવા માટે ફરજીયાતપણે મજબૂર બન્યા છે.ખાંભા, રાજુલા, ડેડાણ, વિકટર અને બગસરા તાલુકાના સરપંચોએ તંત્રને આડે હાથ લીધુ છે.આ ૪ તાલુકાની જીવાદોરી સમાન આ રૃટની બસ સેવા પ્રશ્ને આક્રોશભેર જણાવ્યુ હતુ કે,સ્ટાફને ખેંચી જુના રૃટ બંધ ન કરવા, તંત્ર નહી જાગે તો સમગ્ર જનતાને સાથે રાખી એસ.ટી.કચેરી સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી સરપંચોએ ચિમકી ઉચ્ચારી છે.









