આજે ૮૦મો સ્વાતંત્ર્ય પર્વ ઃ જિલ્લામાં આન-બાન-શાન સાથે લહેરાશે તિરંગો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જિલ્લા કક્ષાની ઉજવણી ઘોઘા રો-રો ફેરી ગ્રાઉન્ડ ખાતે થશે, તૈયારીઓ પૂર્ણ
ધ્વજવંદન, પરેડ, સલામી, રમત-ગમત, સાંસ્કૃતિક સહિતના કાર્યક્રમો યોજાશે, સરકારી કચેરી-બિલ્ડીંગો અને બાગ-બગીચા રોશનીથી ઝળહળી ઉઠયા
ભાવનગર - ભારતના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની આવતીકાલે દેશભક્તિના જોમ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવશે. આઝાદીના આ અમર પર્વે જિલ્લાભરમાં આન-બાન-શાન સાથે તિરંગો લહેરાવવામાં આવશે. આ પ્રસંગે ધ્વજવંદન, પરેડ, સલામી, રમત-ગમત, સાંસ્કૃતિક સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
સમગ્ર ગોહિલવાડવાસીઓ છેલ્લા ત્રણ દિવસથી સ્વાતંત્રતા પર્વના રંગે રંગાયા છે. ભાવનગર સહિત જિલ્લાભરમાં તિરંગા યાત્રાઓ કાઢવામાં આવી હતી. ઉપરાંત હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નાગરિકોએ પોતાના ઘર-ઓફિસ, દુકાનો પર શાનથી તિરંગો લહેરાવ્યો છે. આવતીકાલે ૧૫મી ઓગસ્ટના રોજ ૮૦મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શાળા-કોલેજો, વિવિધ સંસ્થાઓ, રાજકીય પક્ષો અને જાહેર સ્થળો પર ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમો, રક્તદાન કેમ્પ વગેરેનું આયોજન કરાયું છે. દરેક તાલુકાઓમાં સરકારી વિભાગો દ્વારા તાલુકા કક્ષાએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાશે. જ્યારે ઘોઘા રો-રો ફેરી સર્વિસના ગ્રાઉન્ડ ખાતે સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાએ ઉજવણી થશે. આ પ્રસંગે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ્ય વિકાસ વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે ધ્વજવંદન કર્યા બાદ પોલીસ પ્લાટુનની સલામી, રાસ-ગરબા, નૃત્ય સહિત સાંસ્કૃતિ અને રમત-ગમત, રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ, ઉદબોધન સહિતના કાર્યક્રમો યોજાશે. આઝાદી પર્વની ઉજવણીને લઈ સરકારી-ખાનગી બિલ્ડીંગો, કચેરીઓ અને બાગ-બગીચા રોશનીથી ઝળહળી ઉઠયાં છે.









