ભાવનગર-ઉમરાળા બસની અનિયમીતતાથી મુસાફરો પરેશાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ડીવીઝનલ કન્ટ્રોલરને પત્ર પાઠવાયો
એસ.ટી.તંત્ર દ્વારા ઉમરાળા પંથકના પ્રવાસીઓની સુવિધા અર્થે વધારાની બસ સેવા શરૃ કરવા માંગ
ઉમરાળા - ભાવનગરથી દરરોજ સવારે ઉમરાળાનો ફેરો કરતી એસ.ટી.બસ લાંબા સમયથી અનિયમિત હોય મુસાફરોને પારાવાર હાલાકી વેઠવી પડે છે. એસ. ટી.તંત્ર દ્વારા મુસાફરોની સુવિધા અર્થે આ બસ નિયમિત ચલાવવા અને વધારાની બસ ટ્રીપ પણ શરૃ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામેલ છે.
ભાવનગરથી દરરોજ સવારે ૯-૩૦ કલાકે આ બસ ઉપડીને ઉમરાળા આવીને તરત ભાવનગર જવા ઉપડે છે એ રીતે તેનો સમય ગોઠવાયેલો છે, પણ એ સમયનું પાલન થતું નથી.આ બસફેરો છાશવારે રદ્દ થાય છે.કોલેજમાં અભ્યાસ માટે અપ-ડાઉન કરતા વિદ્યાર્થીઓ ઉપરાંત કર્મચારીઓ,વેપારીઓ તેમજ આમજનતા માટે આ બસ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. કારણ કે,સવારે ૯-૩૦ના આ ફેરા પછી ઉમરાળાથી ભાવનગર જવા છેક બપોરે બે સુધી કોઈ બસ મળતી નથી અને બપોરની એ બસ પણ આઉટ ડેપોની હોય નિયમિત નથી.તાલુકા મથક ઉમરાળા અને આસપાસના ગામોના લોકો આ બસની અનિયમિતતાથી ખૂબ પરેશાન થાય છે.લોકોની તકલીફના હલ માટે અનિયમિત બસનું નિયમિત સંચાલન કરવા અને લોકોની જિલ્લા મથકે અવર-જવરની વધેલી જરૃરિયાતને લક્ષમાં લઈ વધારાની બસ સેવા શરૃ કરવા માંગ કરતો પત્ર ભાવનગરના ડિવિઝનલ કન્ટ્રોલરને ૫ાઠવાયો છે.









