Bhavnagar

ભાવનગર નકલી દારૂ કાંડમાં ગૃહ રાજ્યમંત્રી રાજીનામું આપે... જીજ્ઞેશ મેવાણીના આકરા પ્રહાર

By GS Team
21 Aug 20262 mins read
TukuTouch Logo
ભાવનગરમાં ઝેરી દારૂ પીવાથી 8 લોકોના મોત અને 19થી વધુ લોકો સારવાર હેઠળ છે. આ ઘટના બાદ વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે મુખ્યમંત્રી અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી, પોલીસ-બુટલેગરની મિલીભગતનો આક્ષેપ કર્યો હતો. ભાજપ નેતાઓની સંવેદનહીનતા અને પોલીસની આંતરિક તપાસ સામે પણ અવિશ્વાસ વ્યક્ત કર્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગર નકલી દારૂ કાંડમાં ગૃહ રાજ્યમંત્રી રાજીનામું આપે... જીજ્ઞેશ મેવાણીના આકરા પ્રહાર

Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં 8 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 19થી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ગંભીર ઘટના બાદ વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા જીજ્ઞેશ મેવાણીએ ભાવનગરની હોસ્પિટલ ખાતે પહોંચી પીડિતો અને તેના પરિજનોની મુલાકાત લીધી હતી. સરકારી તંત્ર અને કાયદો-વ્યવસ્થા સામે સવાલો ઉઠાવતા તેમણે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી છે.

મેવાણી.jpg

પોલીસ અને બુટલેગરોની મિલીભગતનો ગંભીર આક્ષેપ

હોસ્પિટલની મુલાકાત બાદ પત્રકારો સાથે વાતચીતમાં જીજ્ઞેશ મેવાણીએ રાજ્યમાં દારૂબંધીના અમલીકરણ સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, 'રાજ્યમાં ખુલ્લેઆમ દારૂ અને નશીલા પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે, જે ઉચ્ચ પોલીસ અધિકારીઓ (IPS), SP, IG અને ગૃહ વિભાગની છત્રછાયા વિના અશક્ય છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) કે પોલીસની રેડ પડે ત્યારે માત્ર કોન્સ્ટેબલ, PSI કે PI કક્ષાના કર્મચારીઓને સસ્પેન્ડ કરીને મોટા અધિકારીઓને છાવરવાનો ખેલ રમાય છે. વારંવાર સર્જાતા આવા લઠ્ઠાકાંડમાં ગરીબ પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે અને અનેક મહિલાઓ વિધવા બની છે.'

સ્થાનિક ભાજપ નેતાઓની સંવેદનહીનતા પર પ્રહાર

મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીના રાજીનામાની માંગ વ્યક્ત કરતા જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, 'જ્યાં સુધી ગુજરાતની જનતા એક થઈને મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું નહીં માંગે, ત્યાં સુધી આવા લઠ્ઠાકાંડ સર્જાતા જ રહેશે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ છઠ્ઠી કે સાતમી ઘટના છે જેમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે અને અનેક ગરીબ પરિવારોની બહેનો વિધવા બની છે.'

શાસક પક્ષના નેતાઓ પર નિશાન સાધતા જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, 'ભાવનગરમાં ભાજપ કાર્યાલય હોસ્પિટલથી માત્ર 200 મીટરના અંતરે આવેલું હોવા છતાં અને અનેક મંત્રીઓ સ્થાનિક હોવા છતાં, એક પણ ભાજપ નેતા હજુ સુધી પીડિતોના ખબર-અંતર પૂછવા કે સાંત્વના આપવા ફરક્યા નથી, જે એમની સંવેદનહીનતા દર્શાવે છે.'

પોલીસની આંતરિક તપાસ સામે અવિશ્વાસ

રાજ્યના DGP દ્વારા તપાસ ભાવનગર પોલીસ પાસેથી આંચકીને SMCના વડા મયુરસિંહ ચાવડાને સોંપવા અંગે મેવાણીએ સ્પષ્ટ અવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, 'ભ્રષ્ટ અધિકારીઓ જ આવા ગેરકાયદે કારોબારમાંથી કરોડો રૂપિયા કમાય છે, તેથી પોલીસની પોતાની જ આંતરિક તપાસમાં તેમને 1 ટકો પણ ભરોસો નથી. જાનમાલની સુરક્ષા માટે જનતાએ એક થઈને ગૃહ વિભાગ પાસે જવાબદેહી માગવી પડશે.'