વડોદરામાં પાણીની લાઈનનું સમારકામ પૂરું, રસ્તાનું કામ અધૂરું : બેરીકેડ હટાવાયા નહીં, વાહનચાલકો પરેશાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરાના માંજલપુરમાં આવેલા તુલસીધામ ચાર રસ્તા પાસે થોડા દિવસો અગાઉ પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. પાણીની લાઈનનું સમારકામ કરવા માટે માર્ગ પર બેરીકેડ મૂકી કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, લાઈનનું સમારકામ પૂર્ણ થઈ ગયા બાદ પણ રસ્તાનું પેચવર્ક કરવામાં આવ્યું નથી. પરિણામે બેરીકેડ હજુ પણ યથાવત્ રાખવામાં આવ્યા છે અને વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે.
તુલસીધામ ચાર રસ્તા તરફનો આ માર્ગ 24 કલાક વાહનોની અવરજવરથી ધમધમતો રહે છે. રસ્તા પર બેરીકેડ અને સમારકામ બાદની બિસ્માર સ્થિતિના કારણે વાહનચાલકોને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે પૂરતા પ્રકાશના અભાવે બેરીકેડ નજરે ન પડે તો અકસ્માત સર્જાવાની પણ શક્યતા રહેલી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ પાણીની લાઈનનું કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં રસ્તો પૂર્વવત્ કરવામાં આવતો નથી. લાંબા સમયથી બેરીકેડ યથાવત્ હોવાથી માર્ગ પર અડચણ ઊભી થઈ રહી છે. તંત્ર દ્વારા કામગીરી પૂર્ણ થયા બાદ તાત્કાલિક રસ્તાનું પેચવર્ક કરી બેરીકેડ હટાવવામાં આવે તેવી માગ ઉઠી છે.




