વડોદરાના વોર્ડ નં.14ના ચુનારાવાસમાં ડ્રેનેજ-પાણીની સમસ્યાથી રહીશો પરેશાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા શહેરના વોર્ડ નંબર-14માં આવેલા ચુનારાવાસ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળ્યો હતો. ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યા, નિયમિત સફાઈ ન થતી હોવાના આક્ષેપ તેમજ પૂરતા પ્રમાણમાં ચોખ્ખું પાણી મળતું ન હોવાની રજૂઆત સાથે સ્થાનિક રહીશોએ વોર્ડ નંબર-14ના કાઉન્સિલર તીર્થ બ્રહ્મભટ્ટ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી.
સામાજિક કાર્યકરની આગેવાનીમાં સ્થાનિક રહીશોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે વિસ્તારમાં વારંવાર ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યા સર્જાય છે. ડ્રેનેજની નિયમિત સફાઈ કરવામાં આવતી ન હોવાના કારણે ગંદકી અને દુર્ગંધની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. બીજી તરફ, પાણી પૂરતા પ્રમાણમાં અને ચોખ્ખું મળતું ન હોવાની પણ રહીશોએ ફરિયાદ કરી હતી.
સ્થાનિકોના આક્ષેપ મુજબ, જ્યારે રહીશો દ્વારા આ પ્રશ્નોને લઈને આંદોલન કરવામાં આવે છે ત્યારે તંત્ર દ્વારા હંગામી ધોરણે કામગીરી કરી સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે છે. જોકે, થોડા દિવસ બાદ ફરીથી પરિસ્થિતિ યથાવત થઈ જાય છે. જેના કારણે વારંવાર રજૂઆત અને વિરોધ કરવાની ફરજ પડતી હોવાનો રોષ રહીશોએ વ્યક્ત કર્યો હતો.
રહીશોએ માત્ર હંગામી કામગીરી કરવાને બદલે ડ્રેનેજ, સફાઈ અને પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવા માગ કરી છે. તંત્ર દ્વારા યોગ્ય આયોજન કરી વિસ્તારમાં જરૂરી કામગીરી કરવામાં આવે અને રહીશોને મૂળભૂત સુવિધાઓ નિયમિત રીતે મળે તેવી માગ ઉઠી છે.




